business
બિલ્ડરે રૂ.85 લાખનો સાટાખત રદ કરાવવા દાવો કર્યો હતો:ટાઈટન-54ના ફ્લેટ ધારકની તરફેણમાં ચુકાદો આપી ડેવલોપર્સ સામે ફ્લેટ વેચાણ, ગીરો કે ટ્રાન્સફર કરવા કોર્ટે કામચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો
રાજકોટ શહેરના પોષ વિસ્તાર એવા નાનામવા વિસ્તારમાં આવેલા ટાઈટન-54 હાઈરાઈઝ બિલ્ડિંગના ડેવલોપર્સ તથા ભાગીદારો સામે ફ્લેટ ધારકે દાખલ કરેલા કાઉન્ટર ક્લેઈમના કામે રાજકોટની સિવિલ કોર્ટે ફ્લેટ ધારકની તરફેણમાં કામચલાઉ મનાઈ હુકમ ફરમાવી ડેવલોપર્સને વિવાદિત ફ્લેટ કોઈને વેચાણ, ગીરો, બક્ષીસ, ટ્રાન્સફર કે અસાઈન ન કરવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ફ્લેટ ધારકે રૂ.80.55 લાખની રકમ ચૂકવી હતી જેની સામે બિલ્ડરે 19.10.2019ના રોજ રૂ.85 લાખના વેચાણનો નોંધાયેલ સાટાખત કરી આપ્યો હતો. રાજકોટના નાનામવા વિસ્તારમાં આવેલા ટાઈટન 54માં C વિંગના છઠ્ઠા માળે ફ્લેટ નં.602 લવજીભાઈ પદમશીભાઈ દોમડીયા તથા દિપેન લવજીભાઈ દોમડીયાએ ખરીદ કર્યો હતો. આ સોદા પેટે રૂ.80,55,000ની માતબર રકમ ચૂકવવામાં આવી હતી આ પછી ડેવલોપર્સે તા.19.10.2019ના રોજ રૂ.85 લાખના વેચાણનો નોંધાયેલ સાટાખત કરી આપ્યો હતો. ફ્લેટમાં સિવિલ તથા ઇલેક્ટ્રિક વર્ક સહિતની કામગીરી પૂર્ણ કરી કબજો આપવાનો હોવા છતાં કામગીરી પૂર્ણ ન કરી અધૂરી રાખવામાં આવતા ફ્લેટ ધારકે આ મુદ્દે રેરા ઓથોરિટી સમક્ષ રજુઆત કરી હતી જેની કાર્યવાહી ચાલુ હતી દરમિયાન ડેવલોપર્સના ભાગીદારોએ ફ્લેટ ધારકને આપવામાં આવેલ સાટાખત રદ કરાવવા સિવિલ અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. આ દાવાની સામે ફ્લેટ ધારકોએ કાઉન્ટર ક્લેઈમ કરી ફ્લેટના હકોનું રક્ષણ કરવા વચગાળાના મનાઈ હુકમની માંગણી કરવામાં આવી હતી. ફ્લેટ ધારક તરફથી એડવોકેટ મેહુલ મહેતા તથા સુરેશ ફળદુ ટીમે દલીલો કરી હતી કે, મોટી રકમ વસૂલ્યા બાદ ફ્લેટનું કામ પૂર્ણ કરવાને બદલે સાટાખત રદ કરાવવા દાવો કરવો અન્યાયી છે. બંને પક્ષોની દલીલો, દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય જોગવાઈઓ ધ્યાને લઈ કોર્ટે ફ્લેટ ધારકની માંગણી ગ્રાહ્ય રાખી ડેવલોપર્સ તથા ભાગીદારો સામે કામચલાઉ મનાઈ હુકમ ફરમાવ્યો છે.
Read full article on Divya Bhaskar