top
ભરૂચમાં 4 હજારથી વધુ મહિલાઓને તાલીમ અપાઈ:19મા દીક્ષાંત સમારોહમાં DDO યોગેશ કાપસેએ માર્કેટ લિંકેજ મજબૂત કરવા પર ભાર મૂક્યો
ભરૂચના આત્મીય હોલ ખાતે અનસુયા જે.મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ (AJMWEP) અને જૈન સોશિયલ ગ્રુપ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ (JSGWT) દ્વારા 19મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેની હાજરીમાં આ કાર્યક્રમ થયો હતો. જેમાં તાલીમ પૂરી કરનાર મહિલાઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. DDO યોગેશ કાપસેએ સંસ્થાના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, અત્યાર સુધીમાં 4 હજારથી વધુ મહિલાઓને અલગ અલગ તાલીમ આપીને આર્થિક રીતે સક્ષમ બનાવવામાં આવી છે. તાલીમ મેળવનાર મહિલાઓમાં દેખાતો આત્મવિશ્વાસ બતાવે છે કે આ તાલીમ માત્ર પ્રમાણપત્ર માટે નથી, પણ વ્યવહારિક કૌશલ્ય વિકસાવવામાં પણ મદદરૂપ થાય છે. DDOએ ભરૂચના ઓસારા ગામની મહિલાઓ દ્વારા બનતા ડિટર્જન્ટ અને ફ્લોર ક્લીનર જેવા ઘર વપરાશના ઉત્પાદનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ઉત્પાદનોની ગુણવત્તા સારી હોવા છતાં માર્કેટિંગના અભાવે મહિલાઓને મુશ્કેલી પડતી હતી. આ સમસ્યા ઉકેલવા જિલ્લા પંચાયતે પેમ્ફલેટ અને વેબસાઇટ દ્વારા બજાર ઉપલબ્ધ કરાવવા પ્રયાસ કર્યા છે. હોસ્પિટલો અને શાળાઓ સાથે ઓર્ડર માટે જોડાણ પણ કરવામાં આવ્યું છે. તેમણે મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવા અને સરકારી યોજનાઓ તેમજ ખાનગી સંસ્થાઓના સહયોગથી માર્કેટ લિંકેજ મજબૂત કરવા પર ભાર મૂક્યો. 'ડ્રોન દીદી' પ્રોજેક્ટ વિશે વાત કરતા તેમણે કહ્યું કે, અલગ અલગ તાલુકાની મહિલાઓને ડ્રોનની તાલીમ આપી DGCA લાઇસન્સ સાથે ડ્રોન પાઇલટ બનાવવામાં આવી રહી છે. આ મહિલાઓ ગામડાઓમાં ડ્રોન દ્વારા કામ કરીને આર્થિક રીતે સક્ષમ બની રહી છે. મહિલાઓ દ્વારા બનાવેલી વસ્તુઓને બજાર મળે તે માટે જિલ્લા પંચાયત ભરૂચ રેલવે સ્ટેશન, ભરૂચ બસ સ્ટેન્ડ અને અંકલેશ્વર બસ સ્ટેન્ડ ખાતે વેચાણ કેન્દ્રો માટે દુકાનોની વ્યવસ્થા પણ કરી રહી છે. કાર્યક્રમ દરમિયાન પી.એમ. શ્રી કૃષ્ણા આશ્રમશાળાના પ્રિન્સિપાલ રંજનબેન વસાવાએ તાલીમાર્થી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા. તાલીમ પૂરી કરનાર મહિલાઓને સંસ્થાના હોદ્દેદારો અને મહેમાનોના હાથે પ્રમાણપત્રો આપવામાં આવ્યા. આ પ્રસંગે AJMWEPના કો-ચેરમેન કેતકી મહેતા, JSGના પ્રમુખ યુગેશ શાહ, JSGWTના ચેરમેન ભરત શાહ સહિત સંસ્થાના હોદ્દેદારો, મહેમાનો અને મોટી સંખ્યામાં તાલીમાર્થી મહિલાઓ હાજર રહી હતી.
Read full article on Divya Bhaskar