politics
ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી:બ્રહ્માકુમારી બહેનોએ બંદિવાનોને તિલક કરી રાખડી બાંધી, વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ લેવડાવ્યો
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય, ભરૂચ દ્વારા ભરૂચ જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલ અને સુધારાત્મક વહીવટ તંત્રના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બંદિવાનોને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. બંદિવાનોને રાખડી બાંધી શુભકામનાઓ પાઠવી રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે બ્રહ્માકુમારી બહેનોએ જેલમાં રહેલા બંદિવાનોને તિલક કરી રાખડી બાંધી હતી અને મોઢું મીઠું કરાવ્યું હતું. આ પ્રસંગે ભાઈ-બહેનના પવિત્ર સંબંધની લાગણીને ઉજાગર કરવામાં આવી હતી. સાથે જ બંદિવાનોના સુખાકારી, સ્વસ્થ જીવન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. વ્યસનના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન ‘નશામુક્ત ભારત અભિયાન’ અંતર્ગત વિવિધ પ્રકારના વ્યસનના કારણે થતા શારીરિક, માનસિક, સામાજિક અને આર્થિક દુષ્પરિણામો અંગે બંદિવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ, દારૂ સહિતના નશીલા પદાર્થોથી દૂર રહેવા તેમજ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે બંદિવાનોને પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ સાથે વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો હતો. રાજયોગ અને સકારાત્મક વિચારસરણીનો સંદેશ બ્રહ્માકુમારી બહેનો દ્વારા રાજયોગ ધ્યાન, આત્મચિંતન અને સકારાત્મક વિચારસરણી અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મનને શાંત રાખીને જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા તથા નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માટે બંદિવાનોને પ્રેરણા આપવામાં આવી હતી. સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થવાની પ્રેરણા જેલમાંથી મુક્ત થયા બાદ પરિવાર અને સમાજમાં સારા નાગરિક તરીકે પુનઃસ્થાપિત થઈ જીવનમાં નવી શરૂઆત કરવા માટે પણ બંદિવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રક્ષાબંધનના પવિત્ર પર્વ સાથે માનવતા, ભાઈચારો અને વ્યસનમુક્ત જીવનનો સંદેશ આપતો આ કાર્યક્રમ બંદિવાનો માટે પ્રેરણાદાયી બની રહ્યો હતો.
Read full article on Divya Bhaskar