politics
ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે ગુજરાતભરમાં કોંગ્રેસનો હલ્લાબોલ:વિક્રમ માડમની તમામ SPને ઓપન ચેલેન્જ, ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે ઠેર-ઠેર ધરણાં અને અટકાયત
ભાવનગર જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 9 લોકોના કરૂણ મોત અને 45થી વધુ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હોવાની હૃદયદ્રાવક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. રાજ્યમાં કાગળ પર દારૂબંધી હોવા છતાં બેફામ ચાલતા નશાના કારોબાર સામે વિપક્ષ કોંગ્રેસે રાજ્યવ્યાપી મોરચો માંડ્યો છે. જામનગર, મહેસાણા, જૂનાગઢ, પાટણ અને વાવ-થરાદ સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર ધરણાં, સૂત્રોચ્ચાર અને વિરોધ પ્રદર્શન યોજીને ગૃહમંત્રીના તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી છે, જેને પગલે પોલીસે અનેક સ્થળોએ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી છે. જામનગરમાં વિક્રમ માડમની તમામ SP અને ગૃહમંત્રીને ખુલ્લી ચેલેન્જ જામનગરના લાલ બંગલા પરિસરમાં આયોજિત ધરણાં પ્રદર્શન દરમિયાન પૂર્વ સાંસદ અને કોંગ્રેસ નેતા વિક્રમ માડમે સરકાર અને પોલીસ પ્રશાસન સામે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગૃહમંત્રી, ડીજીપીથી લઈને તમામ જિલ્લાના SPને ઓપન ચેલેન્જ ફેંકતા જણાવ્યું હતું કે, જેમનામાં શક્તિ હોય તે કહી બતાવે કે તેમના જિલ્લામાં દારૂ બનતો, વેચાતો કે પીવાતો નથી. તેમણે દાવો કર્યો હતો કે, આ બનાવમાં 900 લોકોએ દારૂ લીધો હોવાની માહિતી છે અને ગાંધીના ગુજરાતમાં ગલીએ-ગલીએ ખુલ્લેઆમ હોમ ડિલિવરી થઈ રહી છે. ગરીબ પરિવારોના એકના એક દીકરાઓ મોતને ભેટે ત્યારે તંત્રની આંખો કેમ ઉઘડતી નથી તેવો વેધક સવાલ ઉઠાવી તેમણે કડક અમલવારીની માંગ કરી હતી. જામનગરના ધરણાં પ્રદર્શનની તસવીરો મહેસાણામાં ટાઉનહોલ ખાતે ધરણાં અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ટાઉનહોલ ખાતે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા નજીક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વિરોધ પક્ષના નેતા અમિત પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગાંધી અને સરદારની ભૂમિ પર દારૂ, ડ્રગ્સ અને ચરસનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે, જેનાથી યુવાધન અને પરિવારો બરબાદ થઈ રહ્યા છે. બુટલેગરોને મોકળું મેદાન મળી જતાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણ કથળી ગઈ હોવાથી ગૃહમંત્રી હર્ષ સંઘવી નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપે એવી માંગ કરાઈ હતી. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની અટકાયત કરી બસમાં ભરીને લઈ ગઈ હતી. મહેસાણાના ધરણાં પ્રદર્શનની તસવીરો જૂનાગઢમાં પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત જૂનાગઢમાં શહેર પ્રમુખ મનોજ જોશી અને જિલ્લા પ્રમુખ અમિત પટેલની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા મૌન ધરણાં અને સૂત્રોચ્ચારનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે, સરહદો પર ચુસ્ત ચેકિંગના દાવા વચ્ચે આટલી મોટી માત્રામાં કેમિકલ અને ઝેરી દારૂ પહોંચવો એ તંત્ર અને અધિકારીઓની મિલીભગત દર્શાવે છે. જોકે, કાર્યક્રમ શરૂ થાય તે પહેલાં જ સ્થાનિક પોલીસે આક્રમક વલણ અપનાવી તમામ આગેવાનોની ટીંગાટોળી કરીને અટકાયત કરી બી-ડિવિઝન પોલીસ સ્ટેશને ખસેડ્યા હતા. પાટણમાં આવેદનપત્ર આપવા જતાં 20થી વધુ કાર્યકરો ડિટેઈન પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે પ્રતીક ધરણાં યોજીને દારૂના અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો જિલ્લામાં ચાલતા દારૂના અડ્ડા તાબડતોબ બંધ નહીં કરાવાય તો આગામી દિવસોમાં જનતા રેડ કરવામાં આવશે. ધરણાં પૂર્ણ કરી કલેક્ટરને આવેદનપત્ર આપવા જઈ રહેલા 20થી વધુ આગેવાનો અને કાર્યકરોની કલેક્ટર કચેરી પરિસરમાંથી જ પોલીસે અટકાયત કરી લીધી હતી. કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં વાવ-થરાદમાં ચક્કાજામ થરાદ કલેક્ટર કચેરી સામે વાવ-થરાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં કાર્યકરોએ રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઘટના બને ત્યારે થોડા દિવસ દેખાડો કરાય છે પરંતુ કાયમી પગલાં લેવાતા નથી, જેથી સરકારે નૈતિક જવાબદારી સ્વીકારી જવાબદારો સામે દાખલારૂપ કડક કાનૂની કાર્યવાહી કરવી જોઈએ.
Read full article on Divya Bhaskar