top
ભાવેશ ઝીલીયા પર હુમલો અને ફાયરિંગ કેસમાં સફળતા:નેપાળ બોર્ડર સુધી ભાગેલા મુખ્ય 5 આરોપીઓ ઝડપાયા
મહેસાણાના હાઈવે રોડ પર આવેલા પકવાન ડાઈનિંગ હોલ નીચે માધવી પાર્લર નજીક ગત 30 ઓગસ્ટ, 2026ની રાત્રે 8:30 કલાકે સનસનાટીભર્યો જીવલેણ હુમલો થયો હતો. ચાણસ્મા તાલુકાના ઝીલીયા ગામના વતની ભાવેશ ઝીલીયા પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની સફેદ સ્કોર્પિયોમાં આવેલા અજાણ્યા હુમલાખોરોએ ડ્રાઈવર સાઈડથી જોરદાર ટક્કર મારી હતી. ગાડીને રિવર્સ લઈ વારંવાર ટક્કરો માર્યા બાદ હુમલાખોરોએ રિવોલ્વર જેવા હથિયાર વડે તાબડતોબ ફાયરિંગ ઝીંકી દીધું હતું, જેમાં ભાવેશ ઝીલીયાના ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. હુમલાખોરો નાગલપુર તરફ ફરાર થયા આ ઘટનાને અંજામ આપી હુમલાખોરો નાગલપુર તરફ ભાગી છૂટ્યા હતા, જ્યારે લોહીલુહાણ હાલતમાં ભાવેશ ઝીલીયા અને તેમના મિત્ર વિપુલે તાત્કાલિક પોતાની ફોર્ચ્યુનર ગાડી સાથે મહેસાણા ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને પહોંચી આશરો મેળવ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. Dysp મિલાપ પટેલના જણાવ્યા મુજબ અગાઉ આ કેસમાં 6 શંકાસ્પદોની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ ગુનાહિત કાવતરું ઘડનારા અને હુમલામાં સીધા સામેલ મુખ્ય પાંચ આરોપીઓ જોરાવરસિંહ ઉર્ફે ભાણુભા, સૂરજ ઉર્ફે સૂરભા, જીગ્નેશસિંહ ઉર્ફે જીગુભા, હરદીપસિંહ ઉર્ફે ભુવાજી અને જયરાજસિંહ ઉર્ફે ચંપુભાની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ઋષિકેશ થઈ નેપાળ બોર્ડર સુધી નાસતા ફર્યા હુમલો કર્યા બાદ આરોપીઓ પોલીસ પકડથી બચવા માટે સુરેન્દ્રનગર, ઋષિકેશ અને છેક નેપાળ સરહદ સુધી સતત પોતાના આશ્રયસ્થાનો બદલતા રહ્યા હતા. જોકે, જિલ્લા પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સચોટ બાતમીના આધારે આ પાંચેય મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી ગુનામાં વપરાયેલી સ્કોર્પિયો કાર તથા ફાયરિંગ માટે વપરાયેલા હથિયારો જપ્ત કરવા અને હુમલા પાછળ રહેલી જૂની અદાવતનું પગેરું મેળવવા ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.
Read full article on Divya Bhaskar