top
અમદાવાદમાં મલાલાના પુસ્તક વિવાદે પકડ્યો વેગ:હુમલાખોરોની ધરપકડ ન થતાં વિદ્યાર્થીઓ અને કાર્યકરો આંદોલનના મૂડમાં, 72 કલાકનું અલ્ટીમેટમ આપ્યું
અમદાવાદ શહેરના બોડકદેવ ગાર્ડનમાં થોડા દિવસ અગાઉ નોબેલ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝઈનું પુસ્તક વાંચવા એકઠા થયેલા યુવાનો અને વિદ્યાર્થીઓ પર બજરંગદળના કાર્યકરો દ્વારા કરાયેલા કથિત હુમલાનો મામલો વધુ ગરમાયો છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ, નાગરિક અધિકાર મંચના સભ્યો અને એક્ટિવિસ્ટોએ એકત્ર થઈને હુમલાખોરો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગણી દોહરાવી છે. આ સાથે જ બજરંગદળ પર દેશવ્યાપી પ્રતિબંધ મૂકવા તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ રહેવા બદલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી માફી માંગે તેવી સ્પષ્ટ માંગ કરી તંત્રને 72 કલાકનું આકરૂં અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ગાર્ડનમાં પુસ્તક વાંચન દરમિયાન બજરંગદળના કાર્યકરોએ હુમલો કર્યો હતો ઘટનાની વિગત મુજબ, ગત 27 ઓગસ્ટના રોજ સાંજના સમયે બોડકદેવ સ્થિત બગીચામાં CJP સંગઠનના સભ્યો, કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે મલાલાનું પુસ્તક વાંચવા માટે એકત્ર થયા હતા. તે દરમિયાન બજરંગદળના કાર્યકરો મોટી સંખ્યામાં ત્યાં ધસી આવ્યા હતા અને પુસ્તક વાંચનનો ઉગ્ર વિરોધ કરીને ત્યાં હાજર લોકો સાથે મારામારી કરી હતી. પરિસ્થિતિ વણસતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તમામ પક્ષોને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ખસેડ્યા હતા, જ્યાં પોલીસે બજરંગદળના કાર્યકરો સહિત કુલ 20 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે મુખ્ય આરોપીઓ સામે નામજોગ ફરિયાદ ન નોંધ્યાનો આક્ષેપ આ વિવાદ સંદર્ભે આજે ફરી એકવાર વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો ભેગા થયા હતા અને પોતાની આપવીતી રજૂ કરી હતી. એક્ટિવિસ્ટ સુબોધ કુમોદે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાના સીસીટીવી અને વીડિયો પુરાવા હોવા છતાં પોલીસે મુખ્ય આરોપી હિરેન રબારી અને જિમીત રબારી સામે નામજોગ ફરિયાદ નોંધી નથી. એટલું જ નહીં, ફરિયાદ દાખલ થયા પછી પણ હજુ સુધી કોઈ મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી નથી, ઉલટાનું પોલીસે બજરંગદળના લોકો સાથે બંધ બારણે બેઠકો યોજી હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. 72 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો કોલેજ કેમ્પસમાં ઉગ્ર આંદોલનની ચીમકી વિદ્યાર્થીઓ અને એક્ટિવિસ્ટો દ્વારા તંત્ર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ મૂકવામાં આવી છે. જેમાં આગામી 72 કલાકમાં મુખ્ય આરોપીઓ હિરેન રબારી, જિમીત રબારી સહિતના તમામ હુમલાખોરોની તત્કાલ ધરપકડ કરવી, બજરંગદળ પર કાયમી પ્રતિબંધ મૂકવો, પોલીસ પર થયેલા હુમલાની અલગથી ગંભીર કલમો ઉમેરવી અને શાંતિપૂર્ણ વાચકોની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહેવા બદલ ગૃહ વિભાગ જાહેરમાં માફી માંગે તે બાબતો સામેલ છે. જો 72 કલાકની નિર્ધારિત સમયમર્યાદામાં આ માંગણીઓ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજ કેમ્પસમાં જઈને જનજાગૃતિ કાર્યક્રમો અને ઉગ્ર વિરોધ પ્રદર્શનો યોજવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
Read full article on Divya Bhaskar