business
AMC સામે વિવિધ અદાલતોમાં 3,832 કેસ પેન્ડિંગ:જુલાઈમાં આવેલા 113 ચુકાદામાંથી 9 કેસમાં કોર્પોરેશનની હાર, એકા ક્લબના 20 કરોડના ટેક્સ મામલે સુનાવણી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના વિવિધ વિભાગો સામે સુપ્રીમ કોર્ટથી લઈને સીટી સિવિલ કોર્ટ સુધીની વિવિધ અદાલતોમાં અધધ 3,832 કેસો પેન્ડિંગ હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. આ પેન્ડિંગ કેસો પૈકી સૌથી વધુ 1,876 કેસ ગુજરાત હાઈકોર્ટમાં અને 56 કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. અદાલતોમાં વધતા જતા કેસોના નિકાલ અને બચાવ માટે કોર્પોરેશન દ્વારા દર વર્ષે વકીલોની ફી પાછળ લાખો-કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવી રહ્યું છે. ગત જુલાઈ માસ દરમિયાન વિવિધ અદાલતોમાં AMCને લગતા કુલ 113 કેસોના ચુકાદા આવ્યા હતા, જેમાંથી 9 કેસોમાં કોર્પોરેશનને પછડાટ મળી હતી જ્યારે 104 કેસોમાં કોર્પોરેશનની તરફેણમાં ચુકાદો આવ્યો હતો. જુલાઈ મહિનામાં આવેલા ચુકાદાઓમાં 9 કેસમાં AMCની હાર થઈ જુલાઈ મહિનામાં આવેલા ચુકાદાઓની વિગતો મુજબ કોર્પોરેશન વિરુદ્ધ ગયેલા કુલ 9 કેસોમાંથી 7 કેસ ગુજરાત હાઈકોર્ટમાં, 1 કેસ સિટી સિવિલ કોર્ટમાં અને 1 કેસ ગ્રામ્ય કોર્ટમાં હાર્યા હોવાનું નોંધાયું છે. બીજી તરફ રાહતની બાબત એ રહી કે આ જ સમયગાળા દરમિયાન 104 કેસોના ચુકાદા કોર્પોરેશનની તરફેણમાં આવ્યા હતા. લીગલ કમિટીના ચેરમેન વિપુલ પટેલે જણાવ્યું હતું કે ક્લબો અને મોટા કરદાતાઓ સામે કડક વસૂલાતની કામગીરી ચાલી રહી છે, જેમાં એકા ક્લબના બાકી નીકળતા 20 કરોડ રૂપિયાના પ્રોપર્ટી ટેક્સ મામલે કમિટીમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. આ કેસમાં આગામી 10 સપ્ટેમ્બરના રોજ સુનાવણી નિર્ધારિત હોવાથી ખાસ સરકારી વકીલની નિમણૂક કરીને કેસ ઝડપથી ચલાવવા સૂચના અપાઈ છે. હાઈકોર્ટે ભાડજ-શિલજ ટીપી સ્કીમમાં કબજો સોંપવા અને EMD પરત કરવા આપ્યો આદેશ ગુજરાત હાઈકોર્ટ દ્વારા AMC વિરુદ્ધ આપવામાં આવેલા ચુકાદાઓમાં ટી.પી. સ્કીમ નંબર 301 (ભાડજ-શિલજ-હેબતપુર) ના એફ.પી. નંબર 19/2 અને 19/3 અંગે પિટિશનરને તાત્કાલિક કબજો સોંપી દેવાનો મહત્વપૂર્ણ આદેશ કરાયો છે. આ ઉપરાંત અન્ય એક કેસમાં કોર્પોરેશન દ્વારા અરજદારની જમા રકમ ફોરફીટ (જપ્ત) કરવાના એકતરફી નિર્ણયને અદાલતે રદ કર્યો છે અને આગામી 4 અઠવાડિયામાં 23.92 લાખ રૂપિયાની EMD ડિપોઝિટ અરજદારને ચૂકવી આપવાનો આદેશ કર્યો છે. ધાર્મિક દબાણો દૂર કરવા અંગે દર 6 મહિને રિપોર્ટ આપવા તાકીદ શહેરમાં વર્ષોથી ખડકાયેલા ધાર્મિક દબાણો અંગે પણ અદાલતે કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટ દ્વારા શહેરમાંથી ધાર્મિક દબાણો દૂર કરવા, તેમને અન્ય યોગ્ય સ્થળે ખસેડવા અથવા નિયમ મુજબ નિયમિત કરવા સંદર્ભે થયેલી કામગીરીનો દર 6 મહિને વિસ્તૃત પ્રોગ્રેસ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ ફાઇલ કરવા રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ તંત્રને આદેશ જારી કરવામાં આવ્યો છે.
Read full article on Divya Bhaskar