business
ઐતિહાસિક દરબાર હોલનું ₹14.88 કરોડના ખર્ચે રિસ્ટોરેશન શરૂ:જૂનાગઢના દિવાન ચોકમાં જર્જરિત બનેલા ઐતિહાસિક દરબાર હોલના સંરક્ષણ માટે રિસ્ટોરેશન કામગીરી શરૂ, 24 મહિનામાં મૂળ સ્વરૂપ અપાશે
જૂનાગઢ શહેરની સમૃદ્ધ ઐતિહાસિક ધરોહરને જાળવી રાખવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી દિવાન ચોક વિસ્તારમાં આવેલી ઐતિહાસિક ઇમારત દરબાર હોલના રિસ્ટોરેશન અને સંરક્ષણની કામગીરી હાથ ધરવામાં આવી છે. દિવાન ચોકમાં આવેલું દરબાર હોલ મ્યુઝિયમ વર્ષોથી અત્યંત જર્જરિત અને અસુરક્ષિત સ્થિતિમાં પહોંચી ગયું હોવાથી મુલાકાતિઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. હવે આ મૂલ્યવાન વિરાસતને પુનઃજીવિત કરવા માટે સરકારના RB વિભાગ દ્વારા સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડને જવાબદારી સોંપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંદાજિત 14.88 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરવામાં આવ્યો છે, જેને આગામી બે વર્ષના સમયગાળા દરમિયાન પૂર્ણ કરવાનું આયોજન છે. આ રિસ્ટોરેશન પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ઇમારતને નવી બનાવવાનો નથી, પરંતુ તેની મૂળ ઐતિહાસિક ઓળખ અને બાંધકામ શૈલીને અકબંધ રાખવાનો છે. આ કામગીરી દરમિયાન જૂની નકશીવાળી દીવાલો, લાકડાનું ઝીણવટભર્યું કોતરકામ તેમજ બારી-બારણાંનું બારીકાઈથી સંરક્ષણ કરવામાં આવી રહ્યું છે. ઇમારતમાં રહેલા મૂળ ઐતિહાસિક તત્વોને નુકસાન પહોંચાડ્યા વિના જતન કરવાનો ખાસ આગ્રહ રાખવામાં આવ્યો છે. જે ભાગોમાં લાકડું કે અન્ય સામગ્રી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય અથવા બદલવાની જરૂર હોય, ત્યાં પણ મૂળ ઢાંચા અને ડિઝાઇનને અનુરૂપ કામગીરી કરીને ઇમારતને તેનું અસલી ઐતિહાસિક સ્વરૂપ પાછું આપવામાં આવશે. આ સમગ્ર કામગીરી અંગે માહિતી આપતા સવાણી હેરિટેજના મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢમાં આવેલી આ ખૂબ જ મહત્વની ઐતિહાસિક ઇમારત, જે દિવાન ચોક મ્યુઝિયમ તરીકે ઓળખાતી હતી, તે ભારે જર્જરિત થઈ ગઈ હોવાથી અને સુરક્ષિત ન હોવાથી ઘણા સમયથી બંધ કરવામાં આવી હતી. આ બિલ્ડિંગના રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનનું કામકાજ RB ડિપાર્ટમેન્ટ દ્વારા તેમની એજન્સીને સોંપવામાં આવ્યું છે. આ સમગ્ર પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ લગભગ 14.88 કરોડ રૂપિયા છે અને તેને પૂર્ણ કરવા માટે 2 વર્ષનો સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી ઇમારતને અનુકૂળ રીતે પુનઃઉપયોગમાં લઈ શકાય તે હેતુથી કરવામાં આવી રહી છે. હાલમાં રિસ્ટોરેશનની કામગીરી ખૂબ જ પુરઝડપે ચાલી રહી છે. બિલ્ડિંગની દરેક ઝીણવટભરી વિગતો ચકાસવામાં આવી રહી છે, જેમ કે ભૂતકાળમાં કઈ પદ્ધતિથી કામ થયું હતું અને કેવી રીતે નકાશી કામ કરવામાં આવ્યું હતું. જો બિલ્ડિંગમાં વપરાયેલું લાકડું કે અન્ય સામગ્રી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હોય તો તેને બદલવામાં આવશે અને જે વસ્તુઓને પુનઃસ્થાપિત કરી શકાય તેમ હોય તેને રિસ્ટોર કરાશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ, ઇમારતનો જૂનો અને મહત્વપૂર્ણ ઐતિહાસિક લુક ફરીથી ખૂબ જ ઝડપથી લોકો સમક્ષ જોવા મળશે.
Read full article on Divya Bhaskar