top
આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે:શિવાલયોમાં ભક્તો દૂધ-બિલીપત્રથી શિવલિંગને અભિષેક કરશે
સાબરકાંઠા જિલ્લામાં ગુરુવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. આ મહિનાને ભગવાન ભોળાનાથની આરાધનાના માસ તરીકે ઓળખવામાં આવે છે. અનેક ભક્તો વહેલી સવારથી જ શિવાલયો અને અન્ય ધાર્મિક સ્થળોએ પહોંચી જઈ 'ઓમ નમઃ શિવાય'ના નાદ સાથે પૂજા-અર્ચના કરશે. ભક્તો શિવલિંગ પર બિલીપત્ર, દૂધ અને જળથી અભિષેક કરીને ભોળાનાથને રીઝવશે. આ પવિત્ર માસ દરમિયાન અનેક શ્રદ્ધાળુઓ એકટાણું કરીને ઉપવાસ પણ રાખશે. શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે, હિંમતનગરના હાથમતી નદી કિનારે આવેલા સ્વયંભૂ ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભોલેશ્વર દાદાને 40 કિલો ગોળીઓથી શણગારવામાં આવ્યા હતા. જ્યારે રાયગઢમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે દાદાને રંગોનો ઉપયોગ કરીને વિશેષ શણગાર કરાયો હતો. બીજી તરફ, ઝરણેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણીયા સોમવાર નિમિત્તે ભજન-સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ભજનિક કલાકારો ભાગ લેશે. 17 ઓગસ્ટના રોજ સોમવારે ભજનિક નીતિનભાઈ જોશીની ટીમ ભજન રજૂ કરશે. શ્રાવણ માસ નિમિત્તે હિંમતનગરના ભોલેશ્વર, અનંતેશ્વર મહાદેવ, ઝરણેશ્વર, રામેશ્વર મહાદેવ, કંટાળેશ્વર, સુરજપુરાના નર્મદેશ્વર મહાદેવ, ઈડરના સપ્તેશ્વર અને પ્રાંતિજના માર્કન્ડેશ્વર સહિત જિલ્લાના અનેક શિવાલયોમાં ભક્તોની ભીડ જોવા મળશે.
Read full article on Divya Bhaskar