business
રાજકોટ મનપાનાં બે કેસમાં મહત્વના ચુકાદા:રાજકોટ કોર્પોરેશનની ટીપી શાખાનાં વાંકે હાઈકોર્ટે દ્વારા મનપાને રૂ. 50,000નો દંડ, મિલકત વેરાનો ચેક રિટર્ન થવાના કેસમાં આસામીને 6 માસની સજા
રાજકોટ મહાનગરપાલિકા સાથે જોડાયેલા બે મહત્વના કાનૂની ચુકાદા સામે આવ્યા છે. જેમાં પ્રથમ કિસ્સામાં મિલકતના ટાઇટલ ડિસ્પ્યુટના નામે બાંધકામ પરવાનગી સ્થગિત કરી દેતા ગુજરાત હાઇકોર્ટે મનપાની ટાઉન પ્લાનિંગ શાખાની ઝાટકણી કાઢીને હુકમ રદ્દ કર્યો છે અને અરજદારને રૂ. 50,000 ચૂકવવાનો આદેશ કર્યો છે. જ્યારે બીજા કિસ્સામાં, મિલકત વેરાનો રૂ. 94,137નો ચેક રિટર્ન થવાના કેસમાં આસામી દ્વારા રકમ ભરપાઈ કરી દેવામાં આવી હોવા છતાં, રાજકોટની અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીને 6 માસની સાદી કેદ અને રૂ. 1,41,205નું વળતર ચૂકવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. પ્રથમ કિસ્સાની વિગત મુજબ, જયરાજ પ્લોટ શેરી નં.4/11માં આવેલ સીટી સર્વે વોર્ડ નં.4 તથા સીટી સર્વે નં.1142ની મિલકત રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી કલ્પેશ નરેન્દ્રભાઈ ગઢીયા અને ભરતભાઈ નરેન્દ્રભાઈ ગઢીયાએ ખરીદી હતી. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ (ટીપી) શાખાની વિધિવત મંજૂરી મેળવીને બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન દિગવિજયસિંહ બટુકસિંહ ચૌહાણ દ્વારા કોર્પોરેશન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે આ મિલકતમાં તેઓનો હસ્તક્ષેપ અને હકક છે, તેમજ આ અંગે પોલીસ સ્ટેશનમાં પણ રજૂઆત કરી ચેપ્ટર કેસ કરાવાયો હતો. કોર્પોરેશને આ નોટિસ આપતા ખરીદદારોએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ રજીસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ આધારે કાયદેસરના માલિક અને કબ્જેદાર છે તથા ફરિયાદ કરનાર પાસે કોઈ ટાઈટલ નથી. છતાં, કોર્પોરેશને પેનલ એડવોકેટનો અભિપ્રાય લઈ ટાઇટલ ડિસ્પ્યુટ ગણાવી બાંધકામ પરવાનગી અચાનક સ્થગિત કરી દીધી હતી. આ અન્યાયી નિર્ણય સામે અરજદારોએ હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 8253/2026 દાખલ કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ કરેલ દ્વારા મનપા સામે વેધક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા કે કોર્પોરેશનને ટાઈટલ નક્કી કરવાની કે સિવિલ કોર્ટની સત્તા છે કે કેમ? અને શું ટીપી શાખા મિલકતના ટાઈટલમાં હસ્તક્ષેપ કરી બંધારણીય હક છીનવી શકે? મહાનગરપાલિકા આ સવાલોના યોગ્ય જવાબો આપી શકી ન હતી. આથી હાઇકોર્ટે ટાઉન પ્લાનિંગ શાખાનો પરવાનગી સ્થગિત કરવાનો હુકમ રદ્દ કરી અરજી મંજૂર કરી હતી અને રાજકોટ મનપાને અરજદારને રૂ. 50,000 દંડ પેટે ચૂકવવા આદેશ કર્યો હતો. બીજા કિસ્સામાં, રાજકોટ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા મિલકત વેરો વસૂલવાની કામગીરી દરમિયાન વોર્ડ નં. 10માં આવેલી મિલકતના વપરાશકાર અને કબજેદાર ગોવિંદદાસ વલ્લભદાસ વાગડીયાએ બાકી વેરા પેટે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાનો રૂ. 94,137નો ચેક આપ્યો હતો. મનપાએ આ ચેક બેંકમાં જમા કરાવતા તે પરત ફર્યો હતો. આ અંગે કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ જમા નહીં થતાં મનપા દ્વારા નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ અદાલતમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કેસની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન આરોપીએ મનપામાં બાકી ટેક્સની સંપૂર્ણ રકમ જમા કરાવી દીધી હતી. જોકે ચેક રિટર્ન થવાનો ગુનો બની ચૂક્યો હોય, ફરિયાદપક્ષે કેસ પાછો ખેંચ્યો ન હતો અને કાયદાકીય પુરાવાઓ રજૂ કર્યા હતા. રાજકોટની અદાલતે સમગ્ર બાબતો અને આરોપીની વર્તણૂક ધ્યાને લઈ આરોપી ગોવિંદદાસ વાગડીયાને દોષિત ઠેરવી 6 માસની સાદી કેદની સજા અને રૂ. 1,41,205નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. જો વળતર ન ચૂકવે તો વધુ 3 માસની સાદી કેદનો હુકમ કર્યો છે.
Read full article on Divya Bhaskar