politics
નવસારી જિલ્લા ભાજપની સરાહનીય પહેલ:4036 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાનો સંકલ્પ
નવસારી જિલ્લા ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં કુપોષણ સામે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નવસારી જિલ્લાની મુલાકાત પૂર્વે 4036 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના સંકલ્પ સાથે આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. નવસારીના સાંસદ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના માર્ગદર્શન હેઠળ આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત આગામી ત્રણ મહિના સુધી કુપોષિત બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે. આ માટે પૌષ્ટિક આહારની કિટોનું આંગણવાડી બહેનોને વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી આંગણવાડી મારફતે આ બાળકો સુધી નિયમિત પૌષ્ટિક આહાર પહોંચાડી શકાય. આ અંગેનો કાર્યક્રમ બીઆર ફાર્મમાં યોજાયો હતો. જેમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, નવસારીના મેયર અશોકભાઈ ધોરાજિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિરાલીબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કુપોષિત બાળકોને નિયમિત અને પૌષ્ટિક આહાર ઉપલબ્ધ કરાવી તેમના પોષણ અને આરોગ્યમાં સુધારો લાવવાનો છે. આગામી ત્રણ મહિના દરમિયાન બાળકોને પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને તેમને સુપોષિત બનાવવાની દિશામાં સતત પ્રયાસ કરવામાં આવશે. 4036 કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાની આ પહેલ નવસારી જિલ્લામાં કુપોષણ સામેની લડતમાં મહત્વપૂર્ણ પગલું બની રહી છે.
Read full article on Divya Bhaskar