top
લીમખેડા હડફ બ્રિજનું રિપેરિંગ ફરી શરૂ, 30-સપ્ટેમ્બર સુધી વાહનવ્યવહાર બંધ:31 ઓગસ્ટે કામ પૂરું ન થતાં ફરી જાહેરનામું, વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટ જાહેર
દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે (NH-47) પર લીમખેડા લિંક રોડ પાસે આવેલા હડફ બ્રિજનું રિપેરિંગ કામ સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં હવે ફરીથી કામગીરી હાથ ધરવામાં આવશે. બ્રિજ પર રિપેરિંગ કામગીરી દરમિયાન વાહનવ્યવહારની સલામતી અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ. રાવલે જાહેરનામું બહાર પાડ્યું છે. હડફ બ્રિજના રિપેરિંગ માટે અગાઉ નક્કી કરાયેલી સમયમર્યાદા 31 ઓગસ્ટે પૂર્ણ થઈ ગઈ હતી. જોકે, નિર્ધારિત સમયગાળામાં કામગીરી પૂર્ણ થઈ શકી ન હોવાથી હવે રિપેરિંગ કામગીરી આગળ ધપાવવા માટે નવી સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. આ અંતર્ગત 08 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી બ્રિજ પરથી સામાન્ય વાહનવ્યવહાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(ખ) હેઠળ મળેલી સત્તાની રૂએ બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ રિપેરિંગ કામગીરી સાથે સંકળાયેલા વાહનો સિવાય અન્ય તમામ પ્રકારના વાહનોની હડફ બ્રિજ પરથી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. જેના કારણે લીમખેડા તરફથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. વાહનચાલકો માટે અમદાવાદ-બાલાસિનોર-સેવાલિયા-ગોધરા-દાહોદ-ઇન્દોર નેશનલ હાઇવેના લીમખેડા બાયપાસથી વટેડા-લીમખેડા થઈ ઝાલોદ તરફ જવાનો વૈકલ્પિક માર્ગ સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત લીમખેડા-ઉમરિયા-ધાનપુર રોડના લીમખેડા બાયપાસથી વટેડા-લીમખેડા થઈ ઝાલોદ તરફ જવા માટેના માર્ગનો પણ ઉપયોગ કરી શકાશે. હડફ બ્રિજના રિપેરિંગ કામને કારણે આગામી દિવસોમાં આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. ખાસ કરીને સ્થાનિક તેમજ લાંબા અંતરના વાહનચાલકોને નવા રૂટ મુજબ મુસાફરીનું આયોજન કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. બ્રિજ પર રિપેરિંગ કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતિબંધનો અમલ ચાલુ રહેશે. વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 131 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં હવે ફરી શરૂ થનારી રિપેરિંગ કામગીરી દરમિયાન વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.
Read full article on Divya Bhaskar