top
પાટણમાં ગેરકાયદે કોમ્પ્લેક્સ મામલે અનશન:ચીફ ઓફિસરે પારણા કરાવ્યાં, દુકાનદારોને 3 દિવસનું અલ્ટીમેટમ, પાર્કિંગ ખાલી નહીં કરાય તો જગ્યા સીલ કરવાની ચીમકી
પાટણના જૂનાગંજ બજારમાં આવેલા અમૃતકાકા કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે હરગોવનભાઈ પરમારે ભૂખ હડતાલ શરૂ કરતાં નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. નગરપાલિકાએ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી પાર્કિંગની જગ્યાનો અંગત ઉપયોગ કરતા દુકાનદારોને નોટિસ પાઠવી છે. નોટિસમાં ત્રણ દિવસમાં પાર્કિંગમાંથી તમામ માલસામાન ખસેડી જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે. ત્રણ દિવસ બાદ પાર્કિંગ વિસ્તાર સીલ કરાશે નગરપાલિકાના જણાવ્યા મુજબ, સમયમર્યાદામાં માલસામાન નહીં ખસેડવામાં આવે તો પાર્કિંગનો સમગ્ર વિસ્તાર સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કોમ્પ્લેક્સમાં ઉપરના રહેણાંક ઉપયોગ અંગે પણ સીલ કરવાની ચેતવણી આપવામાં આવી છે. બાંધકામ અંગે અગાઉ રજૂઆતો કરવામાં આવી હતી અમૃતકાકા કોમ્પ્લેક્સના બાંધકામને લઈને અગાઉ પાટણ નગરપાલિકા, કલેક્ટર, પ્રાંત અધિકારી અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સ કાયદેસર બિનખેતીની પ્રક્રિયા વિના તેમજ ફાયર સેફ્ટીના નિયમોના ભંગ સાથે બાંધવામાં આવ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ મામલે આખરી નોટિસ આપ્યાને એક મહિનો વીતી ગયો હોવા છતાં તંત્ર દ્વારા કોમ્પ્લેક્સ દૂર કરવાની કાર્યવાહી ન કરાઈ હોવાનો આક્ષેપ અનશન કરનાર દ્વારા કરવામાં આવ્યો હતો. તંત્ર સામે ભેદભાવનો આક્ષેપ, ચીફ ઓફિસરની સ્પષ્ટતા અનશન પર બેઠેલા હરગોવનભાઈ પરમારે આક્ષેપ કર્યો હતો કે ગરીબોના મકાન કે ઝૂંપડાં સામે તાત્કાલિક કાર્યવાહી કરતું તંત્ર મોટા ગેરકાયદે બાંધકામ સામે નિષ્ક્રિય છે. જ્યાં સુધી કોમ્પ્લેક્સ સામે કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અનશન ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ ઠાકરે જણાવ્યું હતું કે કોમ્પ્લેક્સના દુકાનદારોએ બેઝમેન્ટમાં આવેલી પાર્કિંગની જગ્યાનો અંગત ઉપયોગ શરૂ કરી પાર્કિંગની સુવિધા નાબૂદ કરી દીધી હતી. આ અંગે દુકાનદારોને નોટિસ આપી ત્રણ દિવસમાં માલસામાન હટાવવા જણાવાયું છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ નિયમ મુજબ પાર્કિંગ વિસ્તાર સીલ કરવાની કાર્યવાહી કરાશે. ઈમ્પેક્ટ ફી માટે અગાઉ કરેલી અરજી અધૂરી રહી ચીફ ઓફિસરના જણાવ્યા પ્રમાણે, અગાઉ દુકાનદારો ઈમ્પેક્ટ ફી હેઠળ મંજૂરી મેળવવા માટે નગરપાલિકામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદની જરૂરી કાર્યવાહી તેમણે પૂર્ણ કરી ન હતી. તેથી હવે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને વધુ તક આપવામાં નહીં આવે. ચીફ ઓફિસરે પાણી પાઈ પારણા કરાવ્યા દરમિયાન, ભૂખ હડતાલ પર બેઠેલા હરગોવનભાઈ પરમારને ચીફ ઓફિસર હીરલ ઠાકરે પાણી પાઈ પારણા કરાવ્યા હતા. નગરપાલિકાની નોટિસ બાદ હવે આગામી ત્રણ દિવસમાં દુકાનદારો દ્વારા પાર્કિંગની જગ્યા ખાલી કરવામાં આવે છે કે નહીં અને ત્યારબાદ તંત્ર સીલિંગની કાર્યવાહી કરે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
Read full article on Divya Bhaskar