business
26 ડેમ 100% ભરાયા, 31 ડેમમાં 70% થી વધુ પાણી:CM 17 ઓગસ્ટથી અમેરિકા-કેનેડા જશે, ચાર્જ કોને મળશે? GAD નિર્ણય કરશે
રાજ્ય કેબિનેટની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સરકારના મહત્વના નિર્ણયો અને રાજ્યની વિવિધ સ્થિતિ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આરોગ્ય ક્ષેત્રે ગુજરાતને શ્રેષ્ઠ કામગીરી બદલ રાષ્ટ્રીય સ્તરે ત્રણ એવોર્ડ મળ્યા છે. આ ત્રણેય એવોર્ડ આરોગ્ય મંત્રી દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રીને અર્પણ કરવામાં આવ્યા હતા. વન મહોત્સવ 15 ઓગસ્ટથી યોજાશે રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. 15 ઓગસ્ટથી જિલ્લા અને મહાનગરોમાં વન મહોત્સવના કાર્યક્રમો યોજાશે. વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. 26 ડેમ 100 ટકા ભરાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળાશયોની સ્થિતિની સમીક્ષા કરી હતી. હાલ સરદાર સરોવર ડેમ 84 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં પણ પાણીનું સ્તર વધ્યું છે. રાજ્યના 26 ડેમ 100% ભરાઈ ગયા છે, જ્યારે 31 ડેમ 70થી 100% વચ્ચે ભરાયા છે. પીવાના પાણી અને સિંચાઈના પાણીની સ્થિતિ અંગે સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જરૂરિયાત ઊભી થાય ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે. ગુજરાતમાં અલ નીનોની અસર નહીં કેબિનેટ બ્રિફિંગમાં રાજ્યના વરસાદ અને ખેતીની સ્થિતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. સરકારના જણાવ્યા મુજબ ગુજરાતમાં અલ નીનોની અસર જોવા મળી નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે 85 ટકા પાકનું વાવેતર થઈ ગયું છે, જેની પણ સમીક્ષા કરવામાં આવી છે. વૈશ્વિક ઉદ્યોગકારોને આમંત્રણ આપવા CM અમેરિકા-કેનેડા જશે આગામી વાઈબ્રન્ટ સમિટની તૈયારીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 17થી 24 ઓગસ્ટ દરમિયાન અમેરિકા અને કેનેડાના પ્રવાસે જશે. વૈશ્વિક ઉદ્યોગકારો અને રોકાણકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રીની આગેવાનીમાં ડેલિગેશન જશે. પ્રવાસ દરમિયાન ગુજરાતમાં ઉપલબ્ધ રોકાણની તકો અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરવામાં આવશે અને આગામી વાઈબ્રન્ટ સમિટ માટે વૈશ્વિક રોકાણકારોને આમંત્રિત કરવામાં આવશે. CM વિદેશ જાય ત્યારે ચાર્જ કોને? મુખ્યમંત્રી વિદેશ પ્રવાસે જશે ત્યારે તેમના સ્થાને મુખ્યમંત્રીનો ચાર્જ કોને સોંપવામાં આવશે તે અંગેના જવાબમાં પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન ચાર્જ કોને સોંપવો તે અંગે સામાન્ય વહીવટ વિભાગ નિર્ણય કરશે.
Read full article on Divya Bhaskar