top
રાજ્ય સરકાર ઝૂકી, 24 દિવસથી ચાલતા સાગબારા આંદોલનનો અંત:બે મંત્રીઓએ ઉપવાસીઓને પારણા કરાવ્યા, ખેડૂતોના પેન્ડિંગ દાવાઓની પ્રક્રિયા ઝડપી કરવાની ખાતરી
નર્મદાના સાગબારામાં જંગલ જમીનના ખેડાણ અને ખેડૂતોના પડતર દાવાઓ મુદ્દે 24 દિવસથી ચાલી રહેલા આંદોલનનો સોમવારે સુખદ અંત આવ્યો. રાજ્યના મંત્રી ઈશ્વર પટેલ અને પ્રવીણ માળીએ ઉપવાસી ખેડૂતોને પારણા કરાવ્યા. સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી બેઠકમાં ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપવામાં આવી. સૌ પ્રથમ જાણીએ, ખેડૂતોએ શા માટે આંદોલન કરવું પડ્યું? નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના આદિવાસીઓ અને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સ્થાનિક આદિવાસીઓ વચ્ચે જંગલની જમીન પર ખેડાણ અને કબજાને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સાગબારા તાલુકાના 12 જેટલા ગામોના ઉકાઈ ડેમ અસરગ્રસ્ત ખેડૂતોને ઉમરપાડામાં ખેતી માટે જમીન ફાળવવામાં આવી હતી. છેલ્લાં 20 વર્ષથી સાગબારાના ખેડૂતો ઉમરપાડામાં પોતાને મળેલી આ જમીન પર ખેતી કરી રહ્યાં હતા. પણ છેલ્લાં 2 વર્ષથી સાગબારા-ઉમરપાડાના ખેડૂતો વચ્ચે જંગલ જમીન પર ખેડાણ મામલે ઘર્ષણ ચાલી રહ્યું છે. સાથે વન વિભાગના અધિકારીઓ પણ ગ્રામસભાના ઠરાવની માંગ કરીને સાગબારાના ખેડૂતોને ખેતી કરતાં અટકાવી રહ્યા છે. આ કારણે સાગબારાના 300 જેટલા ખેડૂતો 8 ઓગસ્ટથી ઉમરપાડા તાલુકા વડપાડા રેન્જના હરિપુરા રાઉન્ડ ફોરેસ્ટ વિસ્તારમાં ઉપવાસ પર બેસી ગયા હતા. આંદોલનના 24માં દિવસે રાજ્યના 2 મંત્રીઓએ ઉપવાસીઓના પારણા કરાવ્યા ખેડૂતોના ચાલી રહેલા આંદોલનના 24મા દિવસે રાજ્યના મંત્રી ઈશ્વર પટેલ અને પ્રવીણ માળીની હાજરીમાં પારણા કરાવવામાં આવ્યા. સાંસદ મનસુખ વસાવાની આગેવાનીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે થયેલી વાતચીત બાદ ખેડૂતોએ સરકારની ખાતરી સ્વીકારી હતી. સરકાર દ્વારા ખેડૂતોના પેન્ડિંગ દાવાઓની પ્રક્રિયા ઝડપી કરવાની ખાતરી આપવામાં આવી છે. બે ગામોના વસાવા પરિવારો વચ્ચે બે વર્ષ અગાઉ બનેલી એક ઘટનાને પગલે ખેડાણ બંધ કરી દેવાના મુદ્દે વિવાદ ઊભો થયો હતો. આ મામલે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદના ઉકેલ માટે સરકાર, આદિવાસી આગેવાનો, મંત્રીઓ અને સંગઠનના આગેવાનો વચ્ચે સંકલન કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, “નર્મદા અને સુરત જિલ્લાના ગામોના આદિવાસી ખેડૂતોના સંબંધોમાં ફરી મીઠાશ લાવવાનું કામ રાજ્યની સરકાર કરી રહી છે.” તેમણે વધુમાં જણાવ્યું કે,સરકાર હવે ખેડૂતોના બાકી દાવાઓની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા માટે કાર્યવાહી કરશે.
Read full article on Divya Bhaskar