business
નવા લેબર કોડમાં સરકારની મોટી જાહેરાત:કંપનીઓએ આવા કર્મચારીઓને બોનસ આપવું જ પડશે, જાણો ક્યારે અને કેવી રીતે મળશે 20% સુધીનાં બોનસનો લાભ
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા બે નવા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યા છે. આ નોટિફિકેશનમાં સૌથી ખાસ વાત એ છે કે હવે 21,000 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર મેળવતા તમામ કર્મચારીઓને કેટલીક શરતો હેઠળ બોનસનો લાભ મળશે. નોકરીદાતાએ આ બોનસ આપવું જ પડશે. જ્યારે બીજી તરફ, 21000 રૂપિયા પ્રતિ માસથી વધુ પગાર મેળવતા કર્મચારીઓ માટે આ બોનસ ફરજિયાત નથી. તેનો અર્થ એ છે કે કંપની 21,000 થી વધુ પગારવાળાને બોનસ આપવા માટે બંધાયેલી રહેશે નહીં. ફક્ત 21,000 રૂપિયા સુધીના પગારવાળા જ આ બોનસનો લાભ લઈ શકે છે. નવા વેતન આયોગના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે વેતન સંહિતા, 2019ની કલમ 26(1) અનુસાર, દર મહિને 21000 રૂપિયાથી ઓછો પગાર મેળવનાર કર્મચારી બોનસ મેળવી શકે છે, પરંતુ શરત એ છે કે વર્ષમાં ઓછામાં ઓછા 30 દિવસ કામ કર્યું હોય. કર્મચારીઓનું બોનસ કેટલું અને કયા આધારે આપવામાં આવશે? કર્મચારીઓને મળતું વાર્ષિક બોનસ ઓછામાં ઓછા વેતનનું 8.33 ટકા અને વધુમાં વધુ 20 ટકા હશે. આ બોનસની ગણતરી- 7,000 રૂપિયા દર મહિને અથવા લાગુ ન્યૂનતમ મજૂરીમાંથી, જે પણ વધુ હોય. તે આધારે કરવામાં આવશે. માની લો કે તમે 15,000 રૂપિયા પ્રતિ માસ કમાઓ છો, પરંતુ એવા રાજ્યમાં કામ કરો છો જ્યાં તમારા દ્વારા કરવામાં આવેલા કામ માટે ન્યૂનતમ મજૂરી 10,000 રૂપિયા નક્કી છે. આવા કિસ્સામાં નવા શ્રમ કાયદા હેઠળ બોનસની ગણતરી 10,000 રૂપિયા પર જ કરવામાં આવશે. બોનસની ગણતરી હવે આગળ આ જ આધારે બોનસની ગણતરી કરવામાં આવે તો... વાર્ષિક બોનસ - (મિનિમમ સેલરી અથવા 7000 રૂપિયા) × 8.33% × 12 (એક વર્ષ) ફોર્મ્યુલા લાગુ પડશે. હવે ઉદાહરણથી સમજીએ કે કેટલું બોનસ મળશે. માની લો કે કર્મચારીની મિનિમમ સેલરી 12,000 રૂપિયા છે એટલે કે તે 7000 રૂપિયાના બેઝ પ્રાઈસથી વધુ છે, તો હવે કર્મચારીનું વાર્ષિક બોનસ કંઈક આ પ્રકારે હશે... 12000 × 8.33% × 12 = 11,995 રૂપિયા તેનો અર્થ એ છે કે 12,000 રૂપિયા મિનિમમ સેલરીવાળા કર્મચારીઓનું વાર્ષિક બોનસ ઓછામાં ઓછું 11,995 રૂપિયા હશે. નવા લેબર કોડ હેઠળ ક્યાં સુધીમાં બોનસ આપવું પડશે? 'કોડ ઓન વેજેસ, 2019'ની કલમ 39 (1) અનુસાર, કર્મચારીને બોનસ તરીકે આપવામાં આવેલી તમામ રકમની ચુકવણી એકાઉન્ટિંગ વર્ષ સમાપ્ત થયાના આઠ મહિનાની અંદર કર્મચારીના બેંક ખાતામાં જમા કરીને કરવામાં આવવી જોઈએ. જો એમ્પ્લોયર સમય વધારવા માટે પર્યાપ્ત કારણો જણાવતા અરજી કરે છે, તો આ અવધિને બે વર્ષ સુધી વધારી શકાય છે. 'પેમેન્ટ ઓફ બોનસ એક્ટ, 1965'ની કલમ 19માં પણ એકાઉન્ટિંગ વર્ષ સમાપ્ત થયા પછી 8 મહિનાની સમય-સીમા નક્કી કરવામાં આવી હતી. ------------------------------ આ સમાચાર પણ વાંચો: 15 સપ્ટેમ્બર પછી UPI-QR કોડથી ઓનલાઈન પેમેન્ટ નહીં થાય?:રોકડા રૂપિયા આપવા પડશે! RBIના એક નિયમથી લાખો નાના વેપારી અને ગ્રાહકોની ચિંતા વધી ભારતમાં ડિજિટલ પેમેન્ટ હવે લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયું છે. ચાની દુકાન હોય, શાકભાજીની લારી હોય કે કરિયાણાની દુકાન, દરેક જગ્યાએ QR કોડ દ્વારા ચુકવણી સામાન્ય બાબત છે. પરંતુ હવે એક એવી ડેડલાઇન સામે આવી છે, જેણે લાખો નાના વેપારીઓ અને તેમના ગ્રાહકોની ચિંતા વધારી દીધી છે. RBIના નિયમો હેઠળ મર્ચન્ટ્સ માટે રી-કેવાયસી (Re-KYC) પ્રક્રિયા પૂરી કરવી જરૂરી છે. જો નાના વેપારીઓનું વેરિફિકેશન નિર્ધારિત સમય સુધીમાં પૂર્ણ નહીં થાય, તો તેમના QR કોડ આધારિત ચુકવણીઓ પ્રભાવિત થઈ શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
Read full article on Divya Bhaskar