business
નવસારીમાં દરિયાના ખારા પાણીને પીવાલાયક બનાવતો દેશી પ્રોજેક્ટ:1900 TDS પાણીનું 98 TDSમાં રૂપાંતરણ; સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના જન્મદિવસે 'સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર’ પ્રોજેક્ટ'ની ભેટ
નવસારી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અગ્રવાલ કોલેજના સંચાલક મુકેશ અગ્રવાલના જન્મદિન નિમિત્તે દરિયાના ખારા પાણીને પીવાલાયક શુદ્ધ પાણીમાં રૂપાંતરિત કરતા વિશેષ ‘સી વોટર ટુ ડ્રિંકિંગ વોટર’ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલના જળસંચય અભિયાનને આગળ ધપાવતી આ નવીનતમ પહેલનો અનાવરણ સમારોહ નવસારીના મેયર અશોકભાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને ધારાસભ્ય રાકેશભાઈ સહિતના રાજકીય અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. 1900 TDS ના પાણીનું 98 TDS માં રૂપાંતરણ કાર્યક્રમ દરમિયાન આ ટેક્નોલોજીનો એક પ્રત્યક્ષ લાઈવ ડેમો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં 1900 TDS ધરાવતા દરિયાના ખારા પાણીને પ્રોસેસ કરીને ક્ષણવારમાં જ માત્ર 98 TDS ધરાવતા શુદ્ધ અને પીવાલાયક મીઠા પાણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ આ રીતે તૈયાર થયેલું પાણી પીને પ્રોજેક્ટની સફળતાની મુક્ત મને પ્રશંસા કરી હતી. સોલાર અને હીટિંગ સિસ્ટમ આધારિત ટેક્નોલોજી આ પ્રોજેક્ટ અંગે વિગતો આપતા મુકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કોલેજના કેમિકલ ડિપાર્ટમેન્ટના પીએચડી અને ડોક્ટર એન્જિનિયર્સની ટીમ લાંબા સમયથી આ વિષય પર સંશોધન કરી રહી હતી. જન્મદિવસ નિમિત્તે ટીમે આ સફળ મોડલ ભેટ સ્વરૂપે રજૂ કર્યું છે. સોલાર પાવર અને હીટિંગ સિસ્ટમ પર કામ કરતી આ સમગ્ર ટેક્નોલોજીનું રાષ્ટ્રીય કક્ષાએ રજિસ્ટ્રેશન પણ કરાવી લેવામાં આવ્યું છે. દાંડી બીચ ખાતે વિશાળ પ્લાન્ટનું આયોજન ભવિષ્યના પાણીના સંકટ સામે આ ટેક્નોલોજી આશીર્વાદરૂપ નીવડશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે હાલમાં આ એક પાયલટ પ્રોજેક્ટ છે. આગામી સમયમાં દાંડી બીચ નજીક એક વિશાળ વોટર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરાયું છે, જેથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકો આ પ્રક્રિયા પ્રત્યક્ષ જોઈ શકશે. આ મોટા પ્રોજેક્ટ પર આગળ કામ કરવા માટે એન્જિનિયર્સની ટીમને જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે.
Read full article on Divya Bhaskar