top
વાપીમાં ઘરવેરો નહીં ભરનારા 17 ફ્લેટ સીલ:52 માલિકોએ સ્થળ પર જ 13 લાખ રૂપિયા ભર્યા; વધુ 126 બાકીદારોને અંતિમ નોટિસ
વાપી મહાનગરપાલિકાના ઘરવેરા વિભાગે વર્ષોથી મિલકત વેરો નહીં ભરનારા ફ્લેટધારકો સામે કાર્યવાહી શરૂ કરી છે. કમિશનર એન.એફ. ચૌધરીની સૂચનાથી ઘરવેરા વિભાગની ટીમે 69 મોટા બાકીદારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમને અંતિમ નોટિસ આપી વેરો ભરવા જણાવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન 52 ફ્લેટધારકોએ સ્થળ પર જ ઓનલાઈન 13 લાખ રૂપિયાનો બાકી વેરો ભરી દીધા હતા. જ્યારે વેરો ન ભરનારા 17 ફ્લેટને સીલ કરવામાં આવ્યા હતા. ટેક્સ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરના નેતૃત્વમાં ટીમે મંછારામ એપાર્ટમેન્ટ, પરિશ્રમ એપાર્ટમેન્ટ, શિવાલિક, રોયલ ડ્રીમ્સ જેવી મિલકતોના બાકી વેરાધારકોને નોટિસ આપી હતી. અધિકારીઓએ ચેતવણી આપી હતી કે સમયસર વેરો નહીં ભરવામાં આવે તો દર વર્ષે 12 ટકા વ્યાજ ઉપરાંત નોટિસ ફી, દંડ અને મિલકત જપ્ત કરવાની કાર્યવાહી થઈ શકે છે. અરિહંતમાં 4, શ્રીરામ સોસાયટીમાં 3 અને અંબિકા પાર્કમાં 3 સહિત કુલ 17 ફ્લેટ સીલ કરવામાં આવ્યા હતા. નાયબ કમિશનર કિરણસિંહ રાણાએ મોટા બાકીદારોને તરત વેરો ભરવા અપીલ કરી છે. વેરો નહીં ભરનાર ફ્લેટની હરાજીની પ્રક્રિયા પણ શરૂ કરાશે. ઘરવેરા વિભાગે તાજેતરમાં વર્ષોથી વેરો નહીં ભરતા વધુ 126 ફ્લેટધારકોને અંતિમ નોટિસ આપી છે. આગામી દિવસોમાં તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મહાનગરપાલિકાએ મિલકતધારકોને સમયસર વેરો ભરીને નાગરિક ફરજ નિભાવવા જણાવ્યું છે.
Read full article on Divya Bhaskar