business
15 સપ્ટેમ્બરથી બંધ થઈ શકે છે દુકાનદારોનું UPI:RBI પાસેથી રી-KYCની ડેડલાઇન વધારવાની માગ; 10 લાખ નાના વેપારીઓ પર સંકટ
ઓનલાઈન પેમેન્ટ લેવામાં મદદ કરતી કંપનીઓએ રિઝર્વ બેંકને દુકાનદારોની રી-KYC માટે નિર્ધારિત 15 સપ્ટેમ્બરની સમયમર્યાદા લંબાવવા અપીલ કરી છે. કારણ એ છે કે દેશના લાખો નાના-મોટા દુકાનદારો અને લારી-ગલ્લાવાળાઓનું વેરિફિકેશન હજુ સુધી પૂર્ણ થયું નથી. જો RBIએ રી-KYCની છેલ્લી તારીખ નહીં લંબાવે, તો લાખો દુકાનદારોની ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ શકે છે. આનાથી જ્યારે તમે દુકાનો, લારીઓ કે ઓનલાઈન કોઈ સામાન ખરીદશો, ત્યારે UPI કે કાર્ડથી પૈસા મોકલવામાં મુશ્કેલી આવશે અને ડિજિટલ પેમેન્ટની સેવા ઠપ્પ થઈ શકે છે. આ મામલાના દરેક પાસાને 10 સવાલ-જવાબમાં જાણો... સવાલ 1: મામલો શું છે અને પેમેન્ટ એગ્રીગેટર્સે RBI પાસેથી શું માંગ કરી છે? જવાબ: Paytm-PhonePe જેવી ઓનલાઈન પેમેન્ટ કંપનીઓનું કહેવું છે કે દેશભરમાં લાખો નાના-મોટા દુકાનદારોનું વેરિફિકેશન હજુ બાકી છે. 15 સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદામાં કામ પૂરું કરવું એક મોટો પડકાર છે, તેથી તેને લંબાવવામાં આવે. સવાલ 2. જો ડેડલાઇન નહીં વધે, તો તેની શું અસર થશે? જો RBI સમય નહીં લંબાવે, તો દુકાનો અને ઓનલાઈન ખરીદી દરમિયાન પેમેન્ટ અટકી શકે છે. જે દુકાનદારોની રી-KYC 15 સપ્ટેમ્બર સુધીમાં પૂરી નહીં થઈ શકે, તેમના મર્ચન્ટ એકાઉન્ટ્સ અસ્થાયી રૂપે બ્લોક કરી શકાય છે. સવાલ 3. કેટલા મર્ચન્ટ્સ પર તેની સીધી અસર પડવાની શક્યતા છે? જવાબ: રિપોર્ટ્સ અનુસાર, QR કોડનો ઉપયોગ કરતા લગભગ 30%થી 35% નાના અને લારી-ગલ્લાવાળા દુકાનદારો પ્રભાવિત થઈ શકે છે. આ ઉપરાંત લગભગ 10 લાખ નાના ઓનલાઈન બિઝનેસનું પણ પેમેન્ટ સિસ્ટમ બંધ થઈ શકે છે. સવાલ 4. ઓફલાઇન મર્ચન્ટ્સના વેરિફિકેશનમાં કઈ-કઈ સમસ્યાઓ આવી રહી છે? જવાબ: પેટીએમ-ફોનપે જેવી કંપનીઓ પાસે નાના શહેરો અને ગામડાઓમાં લાખોની સંખ્યામાં સાઉન્ડ બોક્સ અને QR સ્ટેન્ડી લાગેલા છે. આમાંથી ઘણા નાના અને લારી-ગલ્લાવાળા વિક્રેતાઓ છે, જેમની પાસે પૂરા પાકા દસ્તાવેજો નથી. સખત નિયમો અને સ્થળ પર જઈને તપાસ (ફિઝિકલ વેરિફિકેશન) કરવાની શરતને કારણે તેમની સુધી પહોંચવું અને ડોક્યુમેન્ટ્સ એકઠા કરવા ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. સવાલ 5. રી-KYC શું છે અને તે શા માટે જરૂરી છે? જવાબ: KYCનો અર્થ છે કે ગ્રાહક અથવા દુકાનદારની ઓળખ અને સરનામાની તપાસ કરવી. રી-KYCનો અર્થ છે તે જ તપાસને સમયાંતરે ફરીથી અપડેટ કરવી. છેતરપિંડી, બનાવટ અને કાળા નાણાના વ્યવહારોને રોકવા માટે સરકાર દુકાનદારોના કાગળો ફરીથી તપાસે છે, જેથી પેમેન્ટ સિસ્ટમ સુરક્ષિત રહે. સવાલ 6. આ બેકલોગની સ્થિતિ શા માટે બની, નિયમો ક્યારે લાગુ થયા હતા? જવાબ: RBIએ સપ્ટેમ્બર 2025માં જ પેમેન્ટ કંપનીઓ માટે કડક ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી હતી. કંપનીઓ અને દુકાનદારો પાસે 1 વર્ષનો સમય હતો, પરંતુ છેલ્લી ઘડી સુધી કામ ટાળવાની આદતને કારણે અચાનક આટલો બેકલોગ એકઠો થઈ ગયો. સવાલ 7. કંપનીઓને વેરિફિકેશનમાં કર્મચારીઓની શું સમસ્યા આવી રહી છે? જવાબ: RBIના નિયમ અનુસાર, દુકાન પર જઈને વેરિફિકેશન પેમેન્ટ કંપનીનો પોતાનો પાકો કર્મચારી જ કરશે, તેને કોઈ બહારની પ્રાઈવેટ એજન્સી દ્વારા કરાવી શકાશે નહીં. કંપનીઓએ નવા કર્મચારીઓ તો રાખ્યા છે, પરંતુ દુકાનદારોની સંખ્યા એટલી વધારે છે કે તેમના સ્ટાફની સંખ્યા ઓછી પડી રહી છે. સવાલ 8. શું ડેડલાઇન સુધીમાં આખું કામ પૂરું થવાની કોઈ શક્યતા છે? જવાબ: ના. મોટાભાગની પેમેન્ટ કંપનીઓ માને છે કે તેઓ 15 સપ્ટેમ્બરની તારીખ સુધીમાં માત્ર 80% પ્રક્રિયા જ પૂરી કરી શકશે. બાકીના 20% દુકાનદારોનું કામ પૂરું કરવા માટે તેમને વધુ સમયની જરૂર પડશે. સવાલ 9. શું આનાથી દેશના કુલ ડિજિટલ પેમેન્ટ્સ પર બહુ મોટી અસર પડશે? જવાબ: ભલે અસરગ્રસ્ત નાના દુકાનદારોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ કુલ ડિજિટલ પેમેન્ટના વ્યવહારોમાં તેમનો હિસ્સો ઘણો ઓછો છે. તેથી દેશના ઓવરઓલ પેમેન્ટ સિસ્ટમ પર મોટો ફરક નહીં પડે, જોકે, સામાન્ય લોકોની દૈનિક ખરીદી અને નાના વેપારીઓના વેચાણ પર અસર ચોક્કસ જોવા મળશે. સવાલ 10. પેમેન્ટ ઇન્ડસ્ટ્રીને RBI પાસેથી શું અપેક્ષા છે? જવાબ: પેમેન્ટ ઇન્ડસ્ટ્રીને આશા છે કે RBI તેમને થોડી રાહત જરૂર આપશે. કંપનીઓનું કહેવું છે કે RBI વ્યવહારિક મુશ્કેલીઓને સમજે છે અને આશા છે કે તે પેમેન્ટ ઇકોસિસ્ટમમાં કોઈપણ અવરોધ વિના ફેરફાર માટે સમયમર્યાદા વધારશે. જાણો શું છે પેમેન્ટ એગ્રીગેટર અને Re-KYC?
Read full article on Divya Bhaskar