top
15 ટાંકા છતાં વિદ્યાર્થીને ઈજા કેવી રીતે થઈ તે રહસ્ય:શારદા વિદ્યામંદિર સ્કૂલમાં વર્ગખંડના CCTV બંધ, DEOએ બેદરકારી ગણી 10 હજારનો દંડ કેમ ન કરવો તેનો ખુલાસો માંગ્યો
અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં આવેલી શારદા વિદ્યામંદિર સ્કૂલમાં ધો.8 ના વિદ્યાર્થીને હાથના ભાગે તીક્ષ્ણ ઘા વાગતાં 15 ટાંકા આવ્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ઘટના અંગે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) એ વર્ગખંડથી વાનમાં બેસવા સુધીના સીસીટીવી રિપોર્ટ માંગતાં સ્કૂલએ ટેક્નિકલ કારણોસર સીસીટીવી બંધ હોવાનું બહાનું બતાવતાં DEO એ સ્કૂલની બેદરકારી બદલ નોટિસ ફટકારી ₹10,000 નો દંડ કેમ ન કરવો તે અંગે જવાબ માંગ્યો છે. DEOએ સીસીટીવી ફૂટેજ સાથેનો રિપોર્ટ માંગ્યો ગત 31 ઓગસ્ટના રોજ સ્કૂલ છૂટ્યા બાદ ધો.8 માં ભણતા વિદ્યાર્થીના હાથમાંથી વાનમાં બેસતી વખતે લોહી નીકળતું હોવાનું અન્ય વિદ્યાર્થીઓએ જોતાં વાન ચાલકે પાટો બાંધ્યો હતો. વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર કે અન્ય વસ્તુ વાગતાં 15 ટાંકા લેવા પડ્યા હતા. વિદ્યાર્થીને કોઈએ માર્યો કે અકસ્માતે વાગ્યું તે સ્પષ્ટ ન થતાં વાલીની રજૂઆત બાદ અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ સ્કૂલ પાસે સમગ્ર સીસીટીવી ફૂટેજ સાથેનો રિપોર્ટ માંગ્યો હતો. સ્કૂલની બેદરકારી અને CCTV નો વિવાદ સ્કૂલએ ઘટના સમયના જ સીસીટીવી કેમેરા બંધ હોવાનું કારણ ધરી નજીકના એક મકાન બહાર લાગેલા કેમેરાનું રેકોર્ડિંગ આપ્યું હતું, જેમાં માત્ર વિદ્યાર્થી વાનમાં બેસતો જોવા મળે છે, પરંતુ વાગવાનું કારણ સ્પષ્ટ થતું નથી. DEOની નોટિસ અને દંડની ચીમકી DEO રોહિત ચૌધરીએ જણાવ્યું કે, સ્કૂલે ગેટ બહારના સીસીટીવી આપ્યા અને વર્ગખંડથી વાન સુધીનું રેકોર્ડિંગ ન આપી બેદરકારી દાખવી છે. જેથી સ્કૂલને વધુ એક નોટિસ ફટકારી ₹10,000 નો દંડ કેમ ન કરવો તેનો કડક જવાબ માંગવામાં આવ્યો છે. હાલ સુધી DEOની ટીમ અને પોલીસ તપાસમાં વિદ્યાર્થી સાથે કોઈ મારપીટ થઈ હોવાના પુરાવા મળ્યા નથી. વિદ્યાર્થી પોતે પણ કઈ રીતે વાગ્યું તે જણાવી શકતો ન હોવાથી સાચી હકીકત સામે આવી નથી. DEO તંત્રે સ્કૂલને ભવિષ્યમાં સીસીટીવી બંધ ન રહે તે માટે કડક તાકીદ કરી છે.
Read full article on Divya Bhaskar