top
રાજકોટમાં દુરબીન વડે જટિલ સર્જરી:વૃદ્ધાની અન્નનળીમાંથી 1.5 સેમીની ગોળી તોડ્યા વિના એક જ ટુકડામાં બહાર કાઢી નવજીવન આપ્યું, લાઈવ વિડીયો
રાજકોટમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં 70 વર્ષીય વૃદ્ધા સાંધાના દુખાવાની 1.5 સેમીની આયુર્વેદિક ગોળી ગળવા જતાં તે અન્નનળીના ઉપરના ભાગમાં સાંકડાપણા (સ્ટ્રિક્ચર)ના કારણે ફસાઈ ગઈ હતી. દર્દી આખો દિવસ પાણી પણ ગળી શકતા નહોતા અને અસહ્ય દુખાવાથી પીડાતા હતા. ENT નિષ્ણાતે જનરલ એનેસ્થેશિયા હેઠળ વિશેષ એન્ડોસ્કોપિક ટેકનિકથી આ અત્યંત કઠણ ગોળીને તોડ્યા વગર એક ટુકડામાં સફળતાપૂર્વક બહાર કાઢી હતી. અન્નનળીમાંથી ગોળી બહાર કાઢતાં જ દર્દીને તાત્કાલિક રાહત મળી હતી અને 2 કલાકના ઓબ્ઝર્વેશન બાદ રજા આપવામાં આવી હતી. આ ઓપરેશનનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જાણીતા ENT સર્જન ડો. હિમાંશુ ઠક્કરે રાજકોટના 70 વર્ષીય દેવિકાબેન વ્યાસની અન્નનળીમાં ફસાયેલી આશરે 1.5 સેમીની અત્યંત કઠણ આયુર્વેદિક ગોળી સફળતાપૂર્વક દૂર કરી દર્દીને યાતના મુક્ત કર્યા છે. દર્દી ઘૂંટણ અને સાંધાના દુખાવા માટે આયુર્વેદિક ગોળી લેતા હતા. ગોળી ગળતી વખતે તે અચાનક અન્નનળીના ઉપરના ભાગમાં ફસાઈ ગઈ હતી. ગોળી ફસાઈ જવાના કારણે દર્દી આખો દિવસ પાણી પણ ગળી શક્યા નહોતા અને ગળામાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર અર્થે ઠક્કર્સ ENT એન્ડ ડેન્ટલ સર્જિકલ હોસ્પિટલ, રાજકોટ ખાતે લાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન અન્નનળીના ઉપરના ભાગમાં અવરોધ હોવાનું માલૂમ પડતા દર્દીની તાત્કાલિક જનરલ એનેસ્થેશિયા હેઠળ એન્ડોસ્કોપિક પ્રક્રિયા કરવામાં આવી હતી. ઈસોફેગોસ્કોપ અને વિશેષ ફોર્સેપ્સની મદદથી આ અત્યંત કઠણ ગોળીને તોડ્યા વગર, એક જ ટુકડામાં કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. ગોળી બહાર નીકળતા જ દર્દીને તાત્કાલિક રાહત મળી હતી અને પાણી તથા ખોરાક ગળવામાં થતી તકલીફ દૂર થઈ ગઈ હતી. દર્દીને આશરે 2 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા બાદ રજા આપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે દર્દીની અન્નનળીના ઉપરના ભાગમાં સાંકડાપણું (સ્ટ્રિક્ચર) હતું. ડો. હિમાંશુ ઠક્કરે જણાવ્યું કે, આવા સાંકડાપણાને કારણે સામાન્ય કદની ગોળી, વટાણા જેવી વસ્તુ કે ખોરાકનો મોટો ટુકડો પણ અન્નનળીમાં ફસાઈ શકે છે. વૃદ્ધોમાં દાંત ઓછા હોવા કે ચાવવામાં તકલીફના કારણે આવી ઘટનાઓનું જોખમ રહે છે. ક્યારેક અન્નનળીના સાંકડાપણા પાછળ Plummer-Vinson syndrome પણ જવાબદાર હોઈ શકે છે, જે આયર્નની ઉણપથી થતા એનિમિયા સાથે સંકળાયેલ છે. તેથી આવા કિસ્સામાં યોગ્ય રક્ત તપાસ અને ગળાની તપાસ કરાવવી જરૂરી છે. વધુમાં તેમણે ઉમેર્યું કે ગળેલી વસ્તુ અન્નનળીના બદલે શ્વાસનળીમાં જાય તો તે જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી વૃદ્ધોએ કઠણ ગોળી કે ખોરાક ગળતી વખતે વિશેષ સાવચેતી રાખવી અને વારંવાર ગળવામાં તકલીફ થાય તો તાત્કાલિક ENT નિષ્ણાતની સલાહ લેવી. જો ખોરાક કે ગોળી ગળામાં ફસાય તો ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તબીબી સારવાર લેવી હિતાવહ છે. આ પ્રકારની કોઈપણ તકલીફ થાય તો તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.
Read full article on Divya Bhaskar