crime
કાલોલમાં પોલીસ કર્મીઓ વતી 15 હજારની લાંચ લેતો વચેટિયો ઝબ્બે:એસીબીએ વચેટિયા સહિત 2 પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી
કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે પોલીસ કર્મચારીઓ અને એક વચેટિયા દ્વારા ઓનલાઈન જુગારના કેસની પતાવટ કરવા માટે રૂા.15 હજારની લાંચ માંગવામાં આવી હતી. દાહોદ એસીબીની ટીમે સફળ છટકું ગોઠવી વચેટિયાને લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. એસીબી પોલીસે 3 સામે કાયદેસરની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે. કાલોલ પોલીસ મથક વિસ્તારમાં ફરિયાદીના મિત્રને ગત 23 જુલાઇના રોજ ઓનલાઈન જુગારના કેસમાં કાલોલ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ કેસની પતાવટ કરી આપવાના બહાને પોલીસ કર્મચારીઓ વર્ગ-3ના આશીષભાઇ કટારા તથા જશપાલસિંહ યશવંતસિંહ પરમાર દ્વારા ફરિયાદી પાસે રૂા.20,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. રકઝકના અંતે રૂા.15,000 નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સણસોલીનો ખાનગી વ્યક્તિ ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નોનભાઈ કનકસિંહ રાઠોડ દ્વારા ફરિયાદી પાસે અવારનવાર આ લાંચની રકમ માંગવામાં આવી રહી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીના ટોલ-ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી દાહોદ એસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. રવિવારે એસીબીની ટીમે કાલોલ તાલુકાના નારણપુરા નર્મદા કેનાલ ચોકડી ખાતે લાંચના છટકાનું આયોજન કર્યું હતું. છટકા દરમિયાન વચેટીયો ધર્મેન્દ્રસિંહ રાઠોડ ફરિયાદી સાથે લાંચ અંગે હેતુલક્ષી વાતચીત કરી રૂા.15 હજારની રોકડ રકમ સ્વીકારતાં જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. વચેટિયા ધમેન્દ્રસિંહ સાથે મુખ્ય આરોપી પોલીસ કર્મચારી આશીષ કટારા સાથે મોબાઇલ ફોન પર વાતચીત કરી હોવાનું બહાર આવ્યું હતું. આમ, ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણામાં રહી ગુનાહિત ગેરવર્તણૂક કરી ગુનો આચર્યો હતો. એસીબી દ્વારા લાંચની પૂરેપૂરી રકમ રૂા.15 હજાર રીકવર કરીને 3 સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar