top
પત્નીને પેટ્રોલ છાંટી જીવતી સળગાવનાર પતિને આજીવન કેદ:ભરૂચમાં પત્નીની હત્યાના કેસમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, આરોપીને રૂ.10 હજારનો દંડ પણ ફટકારાયો
ભરૂચમાં પત્ની પર પેટ્રોલ છાંટી આગ ચાંપી તેની હત્યા કરવાના ચકચારી કેસમાં ભરૂચની અદાલતે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ પી.એમ. સોનીની અદાલતે આરોપી પતિ આસિફ ઇકબાલ સિતપોરિયાને દોષિત ઠેરવી આજીવન કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે. પત્ની સાથે અવારનવાર કરતો હતો મારઝૂડ અને ત્રાસ આ કેસ વર્ષ 2020માં વાગરા પોલીસ મથકમાં નોંધાયો હતો. ફરિયાદ મુજબ આરોપી આસિફ ઇકબાલ સિતપોરિયા પોતાની પત્ની યાસ્મીનબેનને વારંવાર માનસિક અને શારીરિક ત્રાસ આપતો હતો. ઘટનાના દિવસે પણ બંને વચ્ચે તકરાર થયા બાદ આરોપીએ પત્ની સાથે મારઝૂડ કરી હતી. 'આજે તને પતાવી જ દેવી છે' કહી પેટ્રોલ છાંટ્યું કેસની વિગતો મુજબ, 15 જાન્યુઆરી 2020ના રોજ યાસ્મીનબેન ઘરની બહાર તાપણું કરી રહ્યા હતા. તે સમયે આસિફ ત્યાં આવ્યો હતો અને પત્નીને અપશબ્દો કહી, તેની સાથે તકરાર કરી હતી. ત્યારબાદ જમવાનું કાઢવા માટે યાસ્મીનબેન રસોડામાં ગયા ત્યારે આરોપીએ તેમને ત્રણ-ચાર તમાચા માર્યા હતા અને 'આજે તને પતાવી જ દેવી છે' તેમ કહી ધમકી આપી હતી. આરોપીએ ઘરમાં રાખેલું પેટ્રોલ પત્ની પર છાંટી દૂરથી દિવાસળી ચાંપી દીધી હતી. આગની લપેટમાં ગંભીર રીતે દાઝી ગયેલા યાસ્મીનબેનનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. સાહેદો અને વૈજ્ઞાનિક પુરાવા બન્યા મહત્વના આ કેસ સેશન્સ કેસ નંબર 26/2020 તરીકે ભરૂચની પાંચમા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી આવ્યો હતો. સરકાર પક્ષ તરફથી સરકારી વકીલ જે.જે. પરમારે કેસની ધારદાર રજૂઆત કરી હતી. સરકાર પક્ષે સાહેદોની જુબાની, ફરિયાદી તથા મૃતકનું ડાઈંગ ડિક્લેરેશન, FSL રિપોર્ટ અને સ્વતંત્ર સાહેદોની જુબાની સહિતના દસ્તાવેજી અને વૈજ્ઞાનિક પુરાવા કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. IPCની કલમ 302 અને 201 હેઠળ દોષિત ઠેરવાયો કોર્ટ દ્વારા બંને પક્ષની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. તમામ પુરાવાના આધારે અદાલતે આરોપી આસિફ ઇકબાલ સિતપોરિયાને કસૂરવાર ઠેરવ્યો હતો. કોર્ટે IPCની કલમ 302 અને 201 હેઠળ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદ તથા રૂ.10 હજારના દંડની સજા સંભળાવી છે. ચુકાદો સમાજ માટે દાખલો બેસાડનારો સરકારી વકીલ જે.જે. પરમારે જણાવ્યું હતું કે, પત્નીને અર્ધાંગિનીના બદલે કામવાળી બાઈ સમજી તેના પર અત્યાચાર ગુજારનારા લોકો માટે આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડનારો છે. સરકાર પક્ષે અદાલતના આ કડક ચુકાદાને આવકાર્યો છે.
Read full article on Divya Bhaskar