top
પોરબંદરમાં અઢી મહિના સુધી પાણીની તંગી નહીં:ફોદાળા ડેમમાં 24 ટકા પાણીને પગલે તંત્રનું આગોતરું આયોજન, નર્મદા કેનાલથી વધુ જળ મેળવવા પ્રયાસ
પોરબંદર જિલ્લામાં આ સિઝનમાં ઓછો વરસાદ પડ્યો છે. તેના કારણે જળાશયોમાં પૂરતું પાણી ભરાયું નથી. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા મુખ્ય સ્ત્રોત ફોદાળા ડેમમાં હાલ લગભગ 24 ટકા જ પાણી છે. ખંભાળા ડેમમાં પણ પાણીની સપાટી ઘણી ઓછી છે. જોકે, તંત્રના આગોતરા આયોજનને કારણે આગામી બે થી અઢી મહિના સુધી શહેરમાં પાણી વિતરણને લઈને કોઈ મોટી સમસ્યા નહીં થાય. ભવિષ્યમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે તંત્રએ અત્યારથી જ આયોજન શરૂ કરી દીધું છે. પાણીના ઓછા સંગ્રહને ધ્યાનમાં રાખીને તંત્રએ પાણી પુરવઠા વિભાગ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ફોદાળા ડેમની અંદર જ પાણી પુરવઠા વિભાગ દ્વારા નવો કૂવો બનાવવાનું આયોજન ચાલી રહ્યું છે. આ સિવાય, નર્મદા કેનાલ આધારિત NC-38 લાઇન દ્વારા પોરબંદરને વધુ પાણી મળે તે માટે પણ પ્રયાસો ઝડપી કરાયા છે. જેથી ભવિષ્યમાં કોઈ મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થાય તે પહેલાં જ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી શકાય. શહેરમાં રોજ લગભગ 35 થી 40 એમ.એલ.ડી. (MLD) પાણીની જરૂર પડે છે. તે મુજબ પાણીનો જથ્થો મળી પણ રહ્યો છે. ક્યારેક NC-38 લાઇનમાં કોઈ ખરાબી કે ટેકનિકલ ખામી આવે ત્યારે આ જથ્થો ઘટીને 30 એમ.એલ.ડી. સુધી પહોંચે છે. તેમ છતાં, શહેરના લોકોને નિયમિત પાણી મળે તે માટે તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે. શહેરમાં પાણી વિતરણ માટે સંપ (Sump) અને ઈ.એસ.આર. (ESR - ઊંચી ટાંકીઓ)ની સંગ્રહ ક્ષમતા મુજબ અલગ-અલગ ઝોન બનાવાયા છે. કેટલાક વિસ્તારોમાં એક દિવસ છોડીને એક દિવસ, તો અમુક વિસ્તારોમાં દર ત્રીજા દિવસે પાણીનું વિતરણ નિયમિત રીતે કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ પાણી વિતરણ વ્યવસ્થામાં કોઈ અડચણ ન આવે તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ તૈયાર છે.
Read full article on Divya Bhaskar