દીકરી માટે ખાસ સરકારી યોજના: રોજ માત્ર ₹250 નું રોકાણ કરી મેળવો પૂરા 40,00,000 રૂપિયા
Sukanya Samriddhi Yojana 2026: બાળકના જન્મ સાથે જ માતાપિતાને તેના ભવિષ્યની, ખાસ કરીને તેના ઉચ્ચ શિક્ષણ અને લગ્નના ખર્ચની ચિંતા સતાવવા લાગે છે. પરંતુ, જો તમે અત્યારથી જ સાવ નાની-નાની બચત કરવાનું શરૂ કરો, તો ભવિષ્યમાં એક મોટું ભંડોળ ઊભું કરી શકો છો. દીકરીઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાના હેતુથી જ ભારત સરકારે 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) શરૂ કરી છે. આ એક એવી ખાસ સરકારી બચત યોજના છે જેમાં જમા કરાયેલી રકમ પર સરકાર શાનદાર વ્યાજ આપે છે.
કોણ ખોલાવી શકે છે ખાતું?
આ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે દીકરી 10 વર્ષની થાય તે પહેલાં નાની ઉંમરે જ તેના નામે ખાતું ખોલાવી શકાય છે. આ ખાતું દીકરીના માતાપિતા અથવા કાનૂની વાલી દ્વારા ખોલવામાં આવે છે. સામાન્ય નિયમ મુજબ, એક પરિવારમાં વધુમાં વધુ બે દીકરીઓના નામે જ સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે.
જોકે, જો પરિવારમાં જોડિયા (Twins) કે ત્રણ દીકરીઓ એકસાથે જન્મી હોય, તો તેમના માટે કેટલાક વિશેષ નિયમો લાગુ પડે છે. જેથી આવી સ્થિતિમાં ખાતું ખોલાવતા પહેલા તમારી નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જઈને નિયમો વિશે પૂછપરછ કરી લેવી સૌથી યોગ્ય રહેશે.
માત્ર ₹250 થી કરી શકાય છે શરૂઆત
તમારે રોકાણ કરવા માટે કોઈ મોટી રકમની જરૂર નથી. આ સ્કીમમાં એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા ₹250 જમા કરાવવા જરૂરી છે, જ્યારે વધુમાં વધુ ₹1.5 લાખ સુધીની રકમ જમા કરાવી શકાય છે. આનો સીધો અર્થ એ છે કે વાલીઓ પોતાની આવક અને બજેટને ધ્યાનમાં રાખીને સરળતાથી પૈસા જમા કરી શકે છે.
હાલમાં આ યોજના પર સરકાર 8.2% વાર્ષિક વ્યાજ આપી રહી છે. જોકે, સરકાર દ્વારા દર ક્વાર્ટરમાં (દર ત્રણ મહિને) વ્યાજ દરોની સમીક્ષા કરવામાં આવે છે, તેથી ભવિષ્યમાં તેમાં ફેરફાર થઈ શકે છે. પરંતુ આ ખાતામાં લાંબા સમય સુધી વ્યાજ ઉમેરાતું રહેતું હોવાથી દીકરીના ભવિષ્ય માટે આ એક બેસ્ટ અને સુરક્ષિત રોકાણ બની રહે છે.
સમજો 40 લાખ રૂપિયાનું પૂરું ગણિત:
દૈનિક રોકાણ: ₹250
સરેરાશ માસિક રોકાણ: આશરે ₹7,604
વાર્ષિક રોકાણ: ₹91,250
રોકાણનો સમયગાળો: 15 વર્ષ
તમારી કુલ જમા રકમ: ₹13,68,750
અંદાજિત મળવાપાત્ર વ્યાજ: આશરે ₹26.69 લાખ
21 વર્ષ પછી મળતી કુલ અંદાજિત રકમ: આશરે ₹40.38 લાખ
ટેક્સમાં પણ મળે છે મોટો ફાયદો
સુકન્યા સમૃદ્ધિ યોજના કરવેરા (ટેક્સ) ની દ્રષ્ટિએ પણ ખૂબ જ આકર્ષક માનવામાં આવે છે. જો તમે જૂની ટેક્સ સિસ્ટમ (Old Tax Regime) નો વિકલ્પ પસંદ કર્યો છે, તો આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ તમને વાર્ષિક ₹1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ (કપાત) મળે છે. નિયમો અનુસાર, આ યોજનામાં મળતું વ્યાજ અને મેચ્યોરિટી પર મળતી આખરી રકમ પણ સંપૂર્ણપણે કરમુક્ત (Tax-free) હોય છે.
ક્યારે પાકશે ખાતું અને શું છે ઉપાડના નિયમો?
આ ખાતું ખોલાવ્યાની તારીખથી 21 વર્ષ પૂરા થવા પર મેચ્યોર થાય છે. પરંતુ, જ્યારે તમારી દીકરી 18 વર્ષની થઈ જાય, ત્યારે અમુક ચોક્કસ નિયમોને આધીન તેના ઉચ્ચ શિક્ષણ માટે ખાતાના બેલેન્સના 50% સુધીની રકમ ઉપાડવાની છૂટ આપવામાં આવે છે.
આ ઉપરાંત, અમુક ખાસ સંજોગોમાં (જેમ કે ખાતાધારકનું આકસ્મિક મૃત્યુ) આ ખાતું સમય કરતાં વહેલું બંધ કરવાની પરવાનગી પણ મળી શકે છે. તેથી, રોકાણની શરૂઆત કરતા પહેલા પૈસા ઉપાડવા અને મેચ્યોરિટીને લગતા તમામ નિયમોને સારી રીતે સમજી લેવા હિતાવહ છે.