politics
ભાજપના રાષ્ટ્રીય મંત્રી બન્યા બાદ જગદીશ પટેલને UPની મોટી જવાબદારી:કહ્યું- ‘ત્રણ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યો છું, વિકાસની ગાથા ઘર-ઘર સુધી લઈ જઈશું’
ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય મંત્રી તરીકે નિમણૂક બાદ ગુજરાતના નેતા જગદીશ પટેલને ઉત્તર પ્રદેશમાં સહ-પ્રભારી તરીકે મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે સંગઠન સ્તરે તૈયારીઓ તેજ કરી છે. તાજેતરમાં ભાજપે ઉત્તર પ્રદેશ માટે વિનોદ તાવડેને ચૂંટણી પ્રભારી અને જગદીશ પટેલને સહ-પ્રભારીની જવાબદારી સોંપી છે. જગદીશ પટેલે નવી જવાબદારી બદલ ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “નડ્ડાજી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ગુજરાતના પ્રદેશ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. રાષ્ટ્રીય મંત્રી બનાવ્યા બાદ મને અત્યારે ઉત્તર પ્રદેશનો સહ-પ્રભારી બનાવવામાં આવ્યો છે.” ‘અઢી-ત્રણ વર્ષથી UPની જવાબદારી સંભાળી રહ્યો છું’ જગદીશ પટેલે જણાવ્યું કે તેઓ છેલ્લા અઢીથી ત્રણ વર્ષથી ઉત્તર પ્રદેશમાં સંગઠનાત્મક કામગીરી સાથે જોડાયેલા છે. હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમની જવાબદારી વધુ મહત્વપૂર્ણ બની છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી, ખાસ કરીને યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જોડીએ વિકાસના ક્ષેત્રે મોટું પરિવર્તન કર્યું છે. તેમના જણાવ્યા મુજબ, “આ વિકાસ આંખે ઊડીને વળગે એવો છે. હવે આ વિકાસને જન-જન સુધી, મતદાર સુધી, રૂટ્સ સુધી અને ઘર-ઘર સુધી લઈ જવાની અમારી પ્રાથમિકતા છે.” ‘માગ્યા વગર નરેન્દ્રભાઈએ UPમાં ઘણો વિકાસ કર્યો’ જગદીશ પટેલે વધુમાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં માગ્યા વગર પણ ઘણો વિકાસ કર્યો છે અને હવે આ વિકાસની ગાથા લોકો સુધી પહોંચાડવાની જરૂર છે. તેમણે કહ્યું, “વિકાસને વાગોળવો જરૂરી હોય છે. નરેન્દ્રભાઈએ માગ્યા વગર એટલો વિકાસ કર્યો છે, એટલે આ વિકાસની ગાથા અમે જન-જન અને મતદાર સુધી લઈ જઈશું.” ‘BJP કાર્યકર્તા 365 દિવસ ચૂંટણીની તૈયારી કરે છે’ ચૂંટણીની તૈયારીઓ અંગે જગદીશ પટેલે કહ્યું કે ભાજપમાં ચૂંટણી આવે ત્યારે જ કાર્યકર્તા સક્રિય થાય એવું નથી. “ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ચૂંટણી પૂરી થાય એ સાંજથી જ બીજી ચૂંટણીની તૈયારી કરતો હોય છે. પેજ પ્રમુખથી લઈને રાષ્ટ્રીય પ્રમુખ સુધીની જવાબદારી નિભાવતા તમામ કાર્યકર્તાઓ એક કાર્યકર્તાના ભાવથી કામ કરે છે.” તેમણે કહ્યું કે ચૂંટણી સામે છે એટલે જ કામ કરવાનું છે તેવું નથી, પરંતુ ભાજપનો કાર્યકર્તા 365 દિવસ કામ કરે છે. ચૂંટણી પણ આ સતત સંગઠનાત્મક કામગીરીનો જ એક ભાગ છે. આગામી દિવસોમાં શેડ્યૂલ બનાવીને જનતા સુધી ભાજપની કામગીરી અને સરકારના વિકાસકાર્યો પહોંચાડવામાં આવશે. ‘ગત વખત કરતાં સવાઈ સફળતા મળશે’ ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીના પરિણામ અંગે આશાવાદ વ્યક્ત કરતાં જગદીશ પટેલે કહ્યું કે ગત વખતે ભાજપને જે સફળતા મળી હતી તેના કરતાં પણ સવાઈ સફળતા ઉત્તર પ્રદેશમાં મળશે. જગદીશ પટેલની રાજકીય સફર જગદીશ પટેલ ગુજરાત ભાજપના સંગઠનમાં લાંબા સમયથી સક્રિય રહેલા નેતા છે. તેઓ અમરાઈવાડી વિધાનસભા બેઠકની 2019ની પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. આ પહેલાં તેઓ અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી ચૂક્યા છે. તેમણે મહેસાણા, ભાવનગર અને પાટણ જેવા જિલ્લાઓમાં ભાજપના પ્રભારી તરીકે પણ સંગઠનાત્મક કામગીરી કરી છે. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક પર ભાજપના ચૂંટણી મેનેજમેન્ટની મહત્વની ટીમમાં પણ જગદીશ પટેલનો સમાવેશ થયો હતો. તેઓ વારાણસીમાં ચૂંટણી પૂર્વે લાંબા સમય સુધી રહીને સંગઠન અને ચૂંટણી વ્યવસ્થાપન સાથે જોડાયેલી કામગીરી સંભાળતા હતા. વારાણસીમાં તેમની ભૂમિકા માત્ર ચૂંટણી પૂરતી મર્યાદિત રહી નથી. 2026માં પણ તેઓ વારાણસીમાં ભાજપના સ્થાનિક નેતાઓ સાથે જનસંપર્ક અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં જોવા મળ્યા છે. તાજેતરમાં શહેર દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં જનસંપર્ક અને સ્વચ્છતા અભિયાન દરમિયાન પણ તેઓ ઉપસ્થિત રહ્યા હતા. હવે રાષ્ટ્રીય સ્તરે નવી જવાબદારી સાથે ઉત્તર પ્રદેશ જેવા રાજકીય રીતે અત્યંત મહત્વના રાજ્યમાં સહ-પ્રભારી તરીકે જગદીશ પટેલની ભૂમિકા ભાજપ માટે મહત્વપૂર્ણ બની છે.
Read full article on Divya Bhaskar