top
અમરેલીના પાયલ ગોટી લેટરકાંડમાં NHRCનો મોટો નિર્ણય:પાયલને રૂ.7.50 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ
અમરેલીના ચર્ચાસ્પદ પાયલ ગોટી લેટરકાંડમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC) દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચે પાયલ ગોટીને રૂ.7.50 લાખનું વળતર ચૂકવવા રાજ્ય સરકારને આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ નિર્ણયથી લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં નવો વળાંક આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા કથિત નકલી લેટરપેડના વિવાદ બાદ પાયલ ગોટીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસની કાર્યવાહી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. પાયલ ગોટીએ પોલીસ કસ્ટડી દરમિયાન પોતાની સાથે શારીરિક અને માનસિક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાના આક્ષેપો કર્યા હતા. ગેરકાયદેસર ધરપકડ અને કસ્ટડીમાં યાતનાના આક્ષેપો આ સમગ્ર મામલે પાયલ ગોટીએ પોલીસ પર ગેરકાયદેસર રીતે ધરપકડ કરવા તેમજ કસ્ટડી દરમિયાન શારીરિક-માનસિક યાતના આપવાના આક્ષેપો કર્યા હતા. ઉપરાંત, જાહેરમાં પરેડ કરાવવામાં આવી હોવાના કારણે તેમને માનસિક અને સામાજિક સતામણીનો સામનો કરવો પડ્યો હોવાનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. NHRCએ પોલીસની કામગીરી અંગે કડક વલણ અપનાવ્યું મામલો રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ પહોંચ્યા બાદ પંચ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ અને રજૂ થયેલા મુદ્દાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો. હવે NHRCએ પાયલ ગોટીને વળતર આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારને રૂ.7.50 લાખની વળતરની રકમ ચૂકવવા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો છે. લાંબી કાનૂની લડત બાદ મોટી સફળતા પાયલ ગોટીની ધરપકડ બાદ આ કેસને લઈને અમરેલી સહિત ગુજરાતમાં ભારે ચર્ચા થઈ હતી. લાંબી કાનૂની લડત બાદ જાન્યુઆરી 2025માં તેમને જામીન મળ્યા હતા. હવે NHRCના વળતર ચૂકવવાના નિર્ણયને પાયલ ગોટીની ન્યાયની લડતમાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
Read full article on Divya Bhaskar