crime
ગીર સોમનાથમાં જાહેરનામા ભંગ બદલ 7 સામે ગુના:SOGએ હોટલ, ગેસ્ટહાઉસ, મિલકત માલિકો સામે કાર્યવાહી કરી
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ બહારથી આવતા લોકોની વિગતો પોલીસ ચોપડે નોંધાયેલી રહે તે હેતુથી જાહેરનામાની કડક અમલવારી શરૂ કરાઈ છે. આ ઝુંબેશ હેઠળ SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ની ટીમોએ 18 ઓગસ્ટના રોજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જે દરમિયાન સુરક્ષાના નિયમો અને જાહેરનામાનો અનાદર કરવા બદલ કુલ 7 મિલકત માલિકો અને સંચાલકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. પથીક સોફ્ટવેર અને CCTV બેકઅપના નિયમો અતિ મહત્વના જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા અનુસાર, હોટલ કે ગેસ્ટહાઉસમાં રોકાતા મુસાફરોની ઓળખના પુરાવા મેળવી તેની પથીક સોફ્ટવેરમાં ફરજિયાત એન્ટ્રી કરવાની હોય છે. આ ઉપરાંત CCTV કેમેરાનો 30 દિવસનો ડેટા બેકઅપ રાખવો, મકાન કે દુકાન ભાડે આપતી વખતે ભાડુઆતનું પોલીસ વેરિફિકેશન કરાવવું અને પરપ્રાંતીય મજૂરોને કામે રાખતા પહેલાં પોલીસને વિગતો આપવી અનિવાર્ય છે. તપાસ દરમિયાન આ નિયમોની ગંભીર અવહેલના સામે આવી હતી. પ્રભાસ પાટણ અને કોડીનારમાં ગેસ્ટહાઉસ સંચાલકો દંડાયા પ્રભાસ પાટણ વિસ્તારના હરીઓમ ગેસ્ટહાઉસના સંચાલક પ્રતિક ધનજીભાઈ જેઠવા સામે પથીક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરવા બદલ GP એક્ટ કલમ 131 હેઠળ કાર્યવાહી કરાઈ હતી. જ્યારે સીતારામ ગેસ્ટહાઉસના ચીરાગ વેલજીભાઈ પરમાર અને વિનાયક ગેસ્ટહાઉસના શબ્બીરશા હુસેનશા શામદાર સામે CCTV નો 30 દિવસનો બેકઅપ ન રાખવા બદલ BNS કલમ 223 મુજબ ગુનો નોંધાયો હતો. બિલેશ્વર ગેસ્ટહાઉસ ભાડે આપીને પોલીસને જાણ ન કરનાર ઉકાભાઈ વાસાભાઈ ગઢીયા સામે તેમજ કોડીનારમાં દુકાન ભાડે આપી માહિતી ન આપનાર સાજીત સમસુદિન લાલાણી અને માસુમરઝા મુસ્તફામીયા નકવી સામે પગલાં લેવાયા હતા. રેસ્ટોરન્ટ માલિક સામે પરપ્રાંતીય મજૂરોની માહિતી ન આપતા કાર્યવાહી ઉના-ભાવનગર રોડ પર ગ્રેવીટી મોલમાં આવેલા ક્રિષ્ના રેસ્ટોરન્ટના સંચાલક નીતિન દેવસીભાઈ સોલંકી સામે પરપ્રાંતીય મજૂરોને કામે રાખ્યા બાદ પોલીસને જાણ ન કરવા બદલ BNS કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરી જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ PI આર.આર. રાયજાદા અને PSI એસ.જે. સોલંકીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આગામી દિવસોમાં પણ આ પ્રકારનું કડક ચેકિંગ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો છે.
Read full article on Divya Bhaskar