crime
‘ગૃહમંત્રી તરીકે એક્શન લો, રીલ બનાવવાનું બંધ કરો’:ભાવનગર લઠ્ઠાકાંડમાં 5 લોકોના મોત બાદ કોંગ્રેસ આક્રમક, CM-ગૃહમંત્રીને જવાબદાર ગણાવ્યા, અમિત ચાવડાએ આપી જનઆંદોલનની ચીમકી
ભાવનગરમાં નકલી અને ઝેરી ઇંગ્લિશ દારૂ પીવાથી 5 લોકોના શંકાસ્પદ મોત થવાની ઘટનાને પગલે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગુજરાતમાં અવારનવાર બનતી લઠ્ઠાકાંડની ઘટનાઓને લઈને પ્રદેશ કોંગ્રેસે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ચૂંટણીઓમાં અસામાજિક તત્વોનો ઉપયોગ કર્યા બાદ તેમને દારૂનો ખુલ્લેઆમ વેપલો કરવાની છૂટ આપવામાં આવે છે. જો રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જનઆંદોલન છેડવાની ચીમકી આપવામાં આવી છે. “ગૃહમંત્રી માત્ર રીલ બનાવવામાં વ્યસ્ત છે”: અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, પોલીસથી લઈને ગાંધીનગર સુધી હપ્તા પહોંચતા હોવાની લોકચર્ચા છે, જેના કારણે દારૂબંધીના કાયદાના લીરેલીરા ઊડી રહ્યા છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂના કન્ટેનરો અને ડ્રગ્સ ઠલવાઈ રહ્યું છે, પરંતુ ગૃહમંત્રી માત્ર સોશિયલ મીડિયા પર રીલ બનાવવામાં જ ઉત્સાહ બતાવી રહ્યા છે. ભાવનગરની ઘટના માટે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સ્થાનિક પોલીસ સીધા જવાબદાર છે. યુવા પેઢીને નશાના રવાડે ચડતી રોકવા માટે જો કડક પગલાં નહીં લેવાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરી જનઆંદોલન કરશે. “ચંદા દો, ધંધા લો જેવી નીતિ બુટલેગરો સાથે ચાલે છે”: ડૉ. મનીષ દોશી કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ રાજ્યમાં અગાઉ બનેલા લઠ્ઠાકાંડોનો ઉલ્લેખ કરી સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. ભાવનગર કે રાજકોટની આસપાસ કોઈ અન્ય રાજ્યની સરહદ લાગતી નથી, છતાં અહીં દારૂના કન્ટેનરો ઠલવાય છે તે પોલીસ તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. અગાઉ ખેડા અને અમદાવાદમાં થયેલા લઠ્ઠાકાંડ વખતે પણ સરકારે કડક પગલાંની માત્ર વાતો કરી લિપાપોતી કરી હતી. જે રીતે ઉદ્યોગપતિઓ સાથે ‘ચંદા દો, ધંધા લો’ની નીતિ ચાલે છે, તેવી જ રીતે અસામાજિક તત્વોને ચૂંટણીમાં ઉપયોગ કરી દારૂ વેચવાનો છૂટો દોર આપી દેવામાં આવે છે. કડક તપાસ અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે, ભાવનગર લઠ્ઠાકાંડમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને આ ઝેરી દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા બુટલેગરો, બેદરકાર પોલીસ અધિકારીઓ તેમજ તેમને રાજકીય રક્ષણ આપનારા કોઈપણ વગદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવે.
Read full article on Divya Bhaskar